મૂળ પાટણના અને અમદાવાદ ખાતે સાસરીમાં રહીને પકોડીનો વ્યવસાય કરતા 29 વર્ષીય નિલેશકુમાર સોમાજી ઠાકોરે શનિવારે મોડી રાત્રે પોતાના વતન પાટણમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. માસૂમ છ મહિનાની બાળકીના પિતા એવા નિલેશના આકસ્મિક આ પગલાથી પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા છે.
મળતી વિગતો અનુસાર, નિલેશ ઠાકોરના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા અને તેઓ ત્યાં જ રહીને રોજગારી મેળવતા હતા.તેમના લગ્નજીવન દરમિયાન સંતાનમાં છ માસની દીકરી છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ વતન પાટણ ખાતે માતા-પિતાને મળવા આવ્યા હતા. દરમિયાન શનિવારે રાત્રે પતરાવાળા મકાનમાં નીચે લોખંડની એંગલ સાથે કપડાનો ટુકડો બાંધીને તેમણે ગળે ફાંસો ખાઈ લીધો હતો.આ અંગે મૃતકના પિતા સોમાજી ઠાકોરે પાટણ એ-ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





