વૈકલ્પિક જગ્યા ફાળવવાની માગ કરી ન્યાય નહીં મળે તો સામૂહિક આપઘાતની ચિમકી
પાટણના સિધ્ધપુર ચાર રસ્તા નજીક ડીસા હાઈવે પર આવેલા શ્રમજીવી વિસ્તારમાં વર્ષોથી રહેતા 71 પરિવારોને નગર પાલિકા દ્વારા મકાનો ખાલી કરવાની નોટિસ અપાતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે તો નોટિસ મળતા રહીશોમાં રોષ અને ફફડાટ વ્યાપી જતાં પરિવારજનો નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર ને રજુઆત કરવા પહોંચ્યા હતા.અને વૈકલ્પિક જગ્યા ફાળવવા માગ કરી જો યોગ્ય ન્યાય નહીં મળે તો સામૂહિક આપઘાત કરીશું તેવી સ્થાનિક મહિલાઓએ ગંભીર પ્રકારની ચીમકી આપી હતી.
પાટણ શહેરના શ્રમજીવી વિસ્તારમાં રહેતા પરિવારજનોએ પોતાની હૈયાવરાળ વ્યકત કરતાં મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમો વર્ષોથી આ વિસ્તારમાં રહીએ છીએ ત્યારે પાલિકા દ્વારા ટુકી મુદત ની નોટિસ આપી તાત્કાલિક મકાનો ખાલી કરવા જણાવી રહ્યા છે ત્યારે આવા સમયે પરિવારના સભ્યો ને લઇ ને કયાં જવું તેની ચિંતા વ્યક્ત કરી તંત્ર દ્વારા વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માગ કરી તેઓની માગ તંત્ર દ્વારા સંતોષવામાં નહિ આવે તો મહિલાઓએ સામૂહિક આપઘાત કરવાની ચિમકી આપી હતી.





