ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોના હિતમાં ચલાવવામાં આવતી 'ફરતા પશુ દવાખાના' યોજના અંતર્ગત પશુઓને માત્ર સ્થળ પર સારવાર જ નથી આપવામાં આવતી, પરંતુ પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન આપીને પશુઓમાં થતા રોગોનું પ્રમાણ ઘટાડવા માટે સતત સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે, જેથી પશુપાલકોને કોઈ આર્થિક નુકસાન ન વેઠવું પડે. આ જ કડી અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને પશુઓમાં જોવા મળતા 'મસ્ટાઇટીસ' (આંચળનો સોજો) નામના ગંભીર રોગ અંગે સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. મસ્ટાઇટીસ એ ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓના આંચળમાં થતો એક અત્યંત ચેપી રોગ છે, જેના કારણે પશુની દૂધ ઉત્પાદન ક્ષમતામાં મોટો ઘટાડો થાય છે અને પરિણામે પશુપાલકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
આ રોગના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો તેના કારણે પશુના આંચળમાં અતિશય સોજો આવવો, આંચળમાં ગરમાવો અને દુખાવો થવો, દૂધ દોહતી વખતે તેમાં ગાંઠો પડવી, દૂધનો કુદરતી રંગ બદલાઈ જવો અથવા દૂધમાં લોહી દેખાવા જેવા ચિહ્નો જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક ગંભીર કિસ્સાઓમાં પશુને તીવ્ર તાવ આવવો, ખોરાક ઓછો કરી દેવો અને શરીરમાં નબળાઈ અનુભવવી જેવા લક્ષણો પણ પ્રદર્શિત થાય છે. આ જીવલેણ રોગથી પશુઓને કેવી રીતે બચાવી શકાય, દૂધ દોહતી વખતે કઈ સાવચેતી રાખવી અને જો પશુમાં આ રોગની અસર જણાય તો તાત્કાલિક ધોરણે કયા કટોકટીના પગલાં લેવા, તે બાબતે સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત ૧૫ જેટલા ફરતા પશુ દવાખાનાની ટીમો દ્વારા ગામે-ગામે ફરીને તમામ પશુપાલકોને રૂબરૂમાં યોગ્ય અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી પશુધનની રક્ષા થઈ શકે.





