આઝાદીના પર્વ નિમિત્તે હિંમતનગરના માર્ગો પર ઉમટી જનમેદની; પોલીસ બેન્ડ અને શસ્ત્રકલાના પ્રદર્શને આકર્ષણ જમાવ્યું
હિંમતનગર ખાતે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રા અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ ઐતિહાસિક યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રીએ માત્ર યાત્રાનું પ્રસ્થાન જ કરાવ્યું નહોતું, પરંતુ સમગ્ર માર્ગ દરમિયાન સ્વયં પદયાત્રા કરી હિંમતનગરના નગરજનો અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
આ રાષ્ટ્રીય મહોત્સવમાં મંત્રીની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી. ઝાલા, અગ્રણી કનુભાઈ પટેલ, જે.ડી. પટેલ, સિદ્ધાર્થ પટેલ તેમજ જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ અને પોલીસ અધિક્ષક પાર્થરાજ સિંહ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિએ સ્થાનિક લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અને લોકોએ સ્વયંભૂ રીતે આ રાષ્ટ્રીય મહોત્સવમાં જોડાઈને પોતાની રાષ્ટ્રભક્તિ પ્રદર્શિત કરી હતી. હિંમતનગરના કેશવ કોમ્પલેક્ષથી પ્રારંભ થયેલી આ તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને મોતીપુરા સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં પ્રભારી મંત્રી અને મહાનુભાવોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. યાત્રામાં નાગરિકો, યુવાનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાથમાં ત્રિરંગો લહેરાવી જોડાયા હતા. યાત્રાના સમગ્ર રૂટ પર ભારત માતાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને વિવિધ સ્થળોએ નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
યાત્રા દરમિયાન પોલીસ બેન્ડના જવાનોની સુરાવલીઓ અને તલવાર સાથે શસ્ત્રકલા પ્રદર્શિત કરતી યુવતીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે જ પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો અને વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે જોડાઈને દેશભક્તિનો પ્રબળ સંદેશ પ્રસારિત કર્યો હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાનો અને દેશની એકતા તથા અખંડિતતાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાનો રહ્યો છે. હિંમતનગરમાં યોજાયેલી આ યાત્રાએ જન-જનમાં દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી એકતાનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.





