![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/fl.png)
વાહ સરકારી કામ! કરોડો રૂપિયાના ખર્ચે બનેલો ફ્લોટિંગ બ્રિજ 24 કલાકમાં જ ડૂબી ગયો, રાજ્યે આપી આ દલીલ
આંધ્ર પ્રદેશમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં વિશાખાપટ્ટનમમાં એક ફ્લોટિંગ બ્રિજ તેના ઉદ્ઘાટનના 24 કલાક પછી જ પાણીમાં ડૂબી ગયો. આ પુલનું ઉદ્ઘાટન શાસક પક્ષ YSRCPના સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, રાજ્ય સરકારે તેની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે બ્રિજનો ટી પોઈન્ટ બ્રિજથી અલગ થઈ ગયો છે, જેનું ટૂંક સમયમાં સમારકામ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ પુલનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ વાય.વી. સુબ્બરેડ્ડીએ કર્યું હતું. સદ્દનસીબ વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફ્લોટિંગ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેના નિર્માણમાં 1.6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેનું ઉદ્ઘાટન પણ શાસક પક્ષના રાજ્યસભા સાંસદ વાય.વી. સુબ્બરેડ્ડીએ કર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે માત્ર 24 કલાક પછી પુલનો એક ભાગ તૂટીને પાણીમાં વહી ગયો. રાહતની વાત એ હતી કે ઘટના સમયે બ્રિજ પર કોઈ નહોતું. તમને જણાવી દઈએ કે 100 મીટરનો આ પુલ પ્રવાસીઓ સમુદ્રમાં પ્રવેશી શકે અને બીચના સુંદર નજારાનો આનંદ લઈ શકે તે માટે બનાવવામાં આવ્યો હતો. અહીં વિપક્ષે પણ આ મુદ્દે સરકારની ટીકા કરી છે.
વિપક્ષે ટીકા કરી
રાજ્યના વિરોધ પક્ષના નેતા એન. ચંદ્રબાબુ નાયડુએ લોકોના જીવ જોખમમાં મુકવા બદલ સરકારની ટીકા કરી છે. ટીડીપી એટલે કે તેલુગુ દેશમ પાર્ટીના વડા એન. ચંદ્રાબાબુ નાયડુએ તેમના એક્સ હેન્ડલ પર કહ્યું કે જગન રેડ્ડુના તમામ વિકાસની જેમ, આ પણ તેમના ભ્રષ્ટાચારનો બોજ સહન કરી શક્યો નહીં અને બરબાદ થઈ ગયો. તેના ઉદઘાટનના થોડા કલાકો બાદ જ આ તરતો બ્રિજ જેને સરકાર બધા માટે યોગ્ય ગણી રહી હતી તે તૂટી પડ્યો હતો. લોકોએ X પ્લેટફોર્મ પર તેના વીડિયો પણ શેર કર્યા છે.