![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/pavan.png)
જનસેના ધારાસભ્ય પક્ષના નેતા પવન કલ્યાણ બની શકે છે આંધ્રપ્રદેશ સરકારમાં ડેપ્યુટી CM
ફિલ્મી દુનિયામાંથી રાજનીતિમાં આવેલા પવન કલ્યાણની જનસેના પાર્ટીએ આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. પવન કલ્યાણની જનસેના પાર્ટીએ વિધાનસભામાં 21 અને લોકસભામાં 2 બેઠકો મેળવી છે. પક્ષના વધતા કદની વચ્ચે પવન કલ્યાણને જનસેના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આજે સવારે મંગલાગીરી સ્થિત પાર્ટી હેડક્વાર્ટર ખાતે જનસેના ધારાસભ્ય દળની બેઠક મળી હતી.
આ બેઠકમાં તેનાલીના ધારાસભ્ય નડેન્દલા મનોહરે જનસેના ધારાસભ્ય દળના નેતા તરીકે પવન કલ્યાણના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પવન કલ્યાણ આંધ્ર પ્રદેશ સરકારમાં ડેપ્યુટી સીએમ બની શકે છે.
એનડીએ પક્ષોની બેઠક
પક્ષમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ પવન કલ્યાણે વિજયવાડામાં NDA નેતાઓની બેઠકમાં ભાગ લીધો હતો. જ્યાં તે ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ સાથે દેખાયા હતા. બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને પોતપોતાના ધારાસભ્યો અને કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી. આ મીટિંગમાં આંધ્ર પ્રદેશ બીજેપી અધ્યક્ષ દગ્ગુબતી પુરંદેશ્વરી પણ હાજર રહ્યા હતા.
એનડીએને 175માંથી 164 બેઠકો મળી હતી
તમને જણાવી દઈએ કે ટીડીપી, જનસેના પાર્ટી અને ભાજપે સંયુક્ત રીતે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી લડી હતી. આ ચૂંટણી NDAના બેનર હેઠળ લડવામાં આવી હતી. આ ચૂંટણીમાં ત્રણેય પક્ષોએ સારું પ્રદર્શન કર્યું છે. આંધ્રપ્રદેશની 175 વિધાનસભા બેઠકોમાંથી જનસેનાના 21 ધારાસભ્યોએ ચૂંટણી જીતી છે. ટીડીપીને 135 અને ભાજપને 8 બેઠકો મળી છે. આ રીતે NDAએ વિધાનસભા ચૂંટણીમાં 175માંથી 164 બેઠકો જીતી છે. YSR કોંગ્રેસને માત્ર 13 બેઠકો મળી અને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો.
Tags india pavan kalyan Rakhewal