![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/09-5.jpg)
અટલ ભૂજલ યોજનામાં રૂ.20 લાખના રિચાર્જવેલની પાઇપ તળાવના પાણીથી અઢી ફૂટ ઊંચે નાખી
કેન્દ્ર સરકાર દ્વારા ભૂગર્ભ જળ ઊંચાં લાવવા શરૂ કરાયેલી અટલ ભૂજલ યોજના જ “ભોંય’ એટલે કે જમીનમાં રહી જાય તેવાં કારસ્તાનો મહેસાણા જિલ્લામાં બહાર આવ્યાં છે. જિલ્લાનાં 125 ગામોમાં અંદાજે 25 કરોડ રૂપિયાના ખર્ચે 100 થી 180 મીટર ઊંડાઈના રિચાર્જવેલ તૈયાર કરાયાં છે. પરંતુ, કેટલાક ગામોમાં રિચાર્જવેલમાં ટીપું પાણીયે રિચાર્જ થાય તેવી સ્થિતિમાં નથી. આવાં જ બે ગામો છે મહેસાણા નજીકનાં પાલજ અને કરસનપુરા.આ બંને ગામોમાં 11 મહિના પહેલાં રિચાર્જવેલનું કામ પૂરું થઈ ગયું છે. પરંતુ, કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેમ તળાવની પાણીની સપાટીથી એકથી લઈ અઢી ફૂટ જેટલી ઊંચી પાઇપો નાખી છે. પરિણામે, આ વર્ષે આખું ચોમાસું ગયું અને આજે નર્મદાના પાણીથી બંને તળાવો છલકાઈને પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવા છતાં બંને રિચાર્જવેલમાં “આચમન’ લેવા જેટલુંયે પાણી ઉતર્યું નથી.
સરકારી તંત્ર હવે પાઇપો નીચી ઉતારવાનો રાગ આલાપી રહ્યું છે. પાલજના ખેડૂત અગ્રણી અમૃતભાઈ પટેલે જણાવ્યું કે, આને બુદ્ધિનું પ્રદર્શન જ કહેવાય. તળાવમાં પાણી ભરાવાની પૂર્ણ ક્ષમતાને ધ્યાને લીધા વિના જ પાઇપ નાખી દીધી છે. પહેલા પાણીની સપાટીથી 3 ફૂટ ઉંચે હતી, રજૂઆત બાદ બે ફૂટ નીચે કરી છે. તેમ છતાં હાલ તળાવમાં નખાતું નર્મદાનું પાણી ખારી નદીમાં નકામું વહી જાય છે. આ પાઇપ તળાવના પાણીમાં એક ફૂટ નીચે રહે તો જ પાણી રિચાર્જ થઇ શકે. કરસનપુરાના અગ્રણી પસાભાઈ પટેલે કહ્યું કે, રિચાર્જવેલની પાઇપ અઢી ફૂટ જેટલી ઊંચી દેખાય છે. આ રીતે તો ક્યારેય પાણી બોરવેલમાં ના ઉતરે. હાલમાં તળાવમાં નર્મદાનું પાણી ભરેલું છે. પરંતુ, આ પાણી પાળી ઉપરથી નકામું વહી રહ્યું છે. રિચાર્જનો ઉદ્દેશ તો જ જળવાય એક તો રિચાર્જવેલની પાઇપ નીચે ઉતારે અથવા તળાવની પાળી ઊંચી કરો.