![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/ભાજપને-કામના-નામે-મત-નથી-01-હેડ.jpg)
શક્તિસિંહ ગોહિલે કહ્યું : ભાજપને કામના નામે મત નથી મળવાના, તેમણે તો કારનામાં કર્યાં છે એટલે કોંગ્રેસના લોકોને લેવા પડે છે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા લઈ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે આગામી 9 તારીખે રાહુલ ગાંધી નર્મદા જિલ્લામાં આવી રહ્યા હોવાથી કાર્યક્રમની રૂપરેખા અને રૂટ ચેકિંગ માટે ગુજરાત કોગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજપીપળા આવી પહોંચ્યું હતું. ત્યારે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જે ભાજપના નેતાઓને અમારા નેતા રંગા બિરલા કહેતા હતા, ભાજપ પ્રદેશ પ્રમુખને ગુનેગાર ગણાવતા હતા તેમના જ ખોળામાં આજે ભાજપ બેસી ગયો છે.
‘ભારત કોંગ્રેસમુક્ત નહીં, પણ ભાજપ કોંગ્રેસયુક્ત થશે શક્તિસિંહે કહ્યું- ‘ડરનો દંડો બતાવી BJP અમારા નેતાઓ તોડે છે, કાલે જે ખરાબ હતા એ આજે દૂધે ધોયેલા થઈ ગયા? અર્જુન મોઢવાડિયાનું નામ લીધા વગર શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જે ભાજપના નેતાઓને અમારા નેતા રંગા બિરલા કહેતા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખને ગુનેગાર ગણાવતા હતા તેમના જ ખોળામાં ભાજપ બેસી ગયો છે.
એક બાજુ ડરનો દંડો બતાવે છે તો બીજી બાજુ લાલચ આપી અમારા નેતાઓને તોડે છે, પરંતુ આંગળીના વેઢે ગણાય એટલા જ કોંગ્રેસીઓ જાય છે. એનાથી અમને કોઈ ફરક નહિ પડે. ભારત તો કોંગ્રેસમુક્ત નહીં થાય, પણ આખું ભાજપ કોંગ્રેસયુક્ત થઈ રહી છે. ભાજપને કામના નામે મત નથી મળવાના, તેમણે તો કારનામાં કર્યાં છે એટલે કોંગ્રેસના લોકોને લેવા પડે છે. અમારા નેતાઓ ભાજપ માટે કાલ સુધી ખરાબ હતા હવે દૂધે ધોયેલા થઈ ગયા.