ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા રાજકોટ ખાતે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યું, તેવામાં રૂપાલાએ રાજકોટથી પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. કાલાવડ રોડ પર આવેલી એક ખાનગી હોટલમાં BJP સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. પરશોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મુદ્દો શાંત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તે અંગે પણ ચર્ચા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને સંગઠનના મુખ્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની વિવાદિત ટીપ્પણી ના વિવાદને લઈ હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. જેઓ એક ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી. રૂપાલાના નિવેદન મુદ્દે થઈ રહેલા વિરોધને શાંત કરવાના પ્રયાસને લઈ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરી કેટલીક બાબતો જણાવી હતી. જેમાં તેઓએ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઇ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનુ સૂચન કરવા અપીલ કરી હતી.