![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/07/2-1-1536x596-1-1.jpg)
આગવી નિષ્ઠા,જાગૃતતા અને કર્મઠતા થકી ધર્મક્ષેત્રે પ્રેરણાદાયી યોગદાન આપતા શ્રી દરિયાસ્થાન રાપરના પૂજ્ય ડો.ત્રિકાલદાસ બાપ
અનુભવસિધ્ધ,અભ્યાસસિધ્ધ અને કર્મસિધ્ધ સાધુ-સંતો થકી સમગ્ર માનવ સમાજને વિશેષ ફાયદો થતો હોય છે.પિતા હિંમતલાલ આત્મારામ સાધુ અને માતા શારદાબેનના પરિવારમાં તારીખ ૨૦-૯-૧૯૮૧ ના રોજ કચ્છના પવિત્ર યાત્રાધામ અંજાર ખાતે જન્મેલા અને હાલે શ્રી દરિયાસ્થાન રાપરની ગુરૂગાદી સંભાળતા ડોક્ટર ત્રિકાલદાસ બાપુ તેજસ્વી,ઓજસ્વી,યશસ્વી વ્યક્તિત્વના માલિક છે.તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ભૂજ તાલુકાના કોટડા ચકાર ખાતેથી પૂર્ણ કર્યું.નાનપણમાં અભ્યાસ છૂટી ગયો એટલે ૨૦૦૯ માં દસમાની તેમજ ૨૦૧૧ માં બારમાની પરિક્ષા આપી બાદમાં હીસ્ટ્રી સાથે બી.એ.પૂર્ણ કર્યું.”રવિભાણ સંપ્રદાયનું વિવિધ ક્ષેત્રે પ્રદાન”(રાપરના વિશેષ સંદર્ભમાં ઈ.સ.૧૭૦૦ થી ૨૦૦૦) એ વિષય સાથે કચ્છ યુનિવર્સિટીના ઈતિહાસ ભવનમાંથી ડોક્ટર.સ્મિતાબેન ઝાલાના ગાઈડન્સમાં તારીખ ૧૯-૧-૨૦૨૧ ના રોજ તેમણે પી.એચ.ડી.પૂર્ણ કર્યું.આ બાબતે તેમને અનેક સન્માન મળ્યાં છે પરંતુ તારીખ ૧૮-૩- ૨૦૨૧ ના રોજ વ્રજવાણીની કથામાં વ્યાસપીઠ ઉપરથી ભારત ગૌરવ એવા પૂજ્ય મોરારી બાપુએતેમને સન્માનિત કર્યા તે વિશેષ ગૌરવની બાબત છે. રવિભાણ સંપ્રદાયની કુલ ૩૭૪ ગાદીઓ છે જેમાં મુખ્ય ચાર એવી કમીજલા,રાપર,ખંભાળિયા,શેરખી છે.રવિભાણ સંપ્રદાયની રાપરની ગાદી સંભાળતા ડો.ત્રિકાલદાસ બાપુ એક સારા કથાકાર,વકતા,સમાજ સુધારક પણ છે.તેમને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૮૨૫૪૪૪૦૧૮ છે.ભાણ સાહેબ,રવિ સાહેબ,મોરાર સાહેબ, લાલ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, ગંગ સાહેબ એમ વિવિધ સંતો રવિભાણ પરંપરામાં થઈ ગયા છે.એમાંયે રાપરની ગાદી ક્રાંતિકારી જગ્યા છે.સામાજીક અંધશ્રધ્ધા,જાતિભેદ,અસ્પૃશ્યતા સહિતના કુરિવાજાેને દૂર કરવામાં રવિભાણ પરંપરાનું એક આગવું પ્રદાન છે.રાપરમાં ખીમ સાહેબે દલિત સમાજના ત્રિકમ સાહેબને કંઠી બાંધી આગવું વિશેષ સ્થાન આપ્યું તેથી રાપર ગાદીનું આગવું મહત્વ છે.ડો ત્રિકાલદાસ બાપુનાં માતા-પિતાને લગ્નના દસ વર્ષ સુધી કોઈ સંતાન નહોતું અને જાેપારણું બંધાય તો જે સંતાન આવે તે સેવામાં આપીશું તેવો સંકલ્પ કરેલ.આ સંકલ્પ ના અનુસંધાને તેમના પરિવારમાં બાળકનો જન્મ થતાં શ્રી ત્રિકમ સાહેબના નામ ઉપરથી બાળકનું નામ ત્રિકાલદાસ પાડયું.પૂજ્ય ત્રિકાલદાસ બાપુ હાલમાં રાપરની ગાદી સંભાળી અતિ પ્રશંસનીય સેવા કરી રહેલ છે. રાપરના દરિયાસ્થાનમાં પટેલ,આહિર,લોહાણા,પ્રજાપતિ સહિતની ચારેય જ્ઞાતિઓ ઉપરાંત અનેક સનાતન હિંદુપ્રેમીઓ શ્રધ્ધા રાખે છે.આને લીધે પૂજ્ય ડો.ત્રિકાલદાસ બાપુને બધા સમાજના સારા-માઠા અવસરે સતત જવાનું થાય છે.તેમના પિતાજી કોટડા ચકાર સ્કૂલમાં સીનિયર કલાર્ક હતા એટલે ડો.ત્રિકાલદાસ બાપુનું વાંચન અતિશય રહ્યું છે.તેમની પોતાની
અંગત લાયબ્રેરીમાં ૨૩૦૦ જેટલાં પુસ્તકો છે.આ બધામાં તેમને યોગી કથામૃત, સંતોનાં ચરિત્રો, સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો તેમજ આચાર્ય વિજ્યરત્નસુંદરસૂરિજી મહારાજનાં પુસ્તકો વધારે ગમે છે.ગુણવંત શાહ, કાંતિ ભટ્ટ,કુંદનિકા કાપડિયા તેમના ગમતા લેખકો છે.તેઓ અનેક સ્થળોએ ફર્યા છે પણ તેમાંયે રાપર અને માલસર તેમને વધારે ગમે છે.ભારતમાં પણ અનેક સ્થળોએ તેઓ ફર્યા છે તેમાંથી હિમાલય પ્રદેશ અને હરિદ્વારનૉ લગાવ તેમને વધારે છે.૧૯૯૯ માં ૧૮ વર્ષની ઉંમરે તેમણે ભૂજ તાલુકાના થરાવડા ગામે શીવમંદિરે એક મહિનાની સળંગ રામકથા કરી હતી.રાપર આવ્યા બાદ પણ એક મહિનાની રામકથા કરી હતી.૨૦૧૫ માં સૌપ્રથમવાર નવ્વાહ પારાયણ રામકથા કરી હતી.અત્યાર સુધીમાં આઠ રામકથા અને નવ જેટલી ભાગવત કથાઓ તેમણે કરી છે.રાજકોટમાં કબીરદાસ અને ધર્મદાસનો સંવાદ એ વિષય ઉપર તેમણે કથા કરેલ છે.જેમાં સાત દિવસ સુધી ખૂબ જ મોટી સંખ્યામાં કબીરપ્રેમીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ફતેગઢ,હરિદ્વારમાં અંદાજે પાંચ,રામેશ્ર્વર, રાપર,જગન્નાથ પુરી સહિત અનેક સ્થળોએ તેમની કથાઓ થયેલ છે.તાજેતરમાં જ પ્રભુ પ્રસાદ પ રિવાર દ્રારા રાધનપુર ખાતે તેમની રામકથા હતી જેમાં તેમની દિવ્ય વાણી મારા પરમ મિત્ર સુરેશભાઈ દેવવાળા સાથે સાંભળવાનું સદભાગ્ય
સાંપડતાં આજે જીવનદર્શનના માધ્યમથી ડો. ત્રિકાલદાસ બાપુનો વિશેષ પરિચય આપતાં અનહદ રાજીપો અનુભવું છું.૫૪૬ જેટલા સત્સંગ કાર્યક્રમો ગામડાંઓમાં કરી તેમણે આધ્યાત્મિક ક્ષેત્રે એક નવી ક્રાંતિ લાવી છે.આ અગાઉ પણકમીજલા ભાણ સાહેબની ગુરૂગાદીના મહંત પૂજ્ય જાનકીદાસજી બાપુએ મને ડો.ત્રિકાલદાસ બાપુના ઉચ્ચ અભ્યાસ વિષે માહિતી આપી તેમનો પરિચય થરા જલારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કરાવ્યો હતો.મહાભારત, રામાયણ, ભગવત ગીતા,સંત ચરિત્રો ઉપર કથા કરતા પૂજ્ય ત્રિકાલદાસ બાપુ વિશેષ કરીને ગૌમાતાઓ અને ગૌશાળાઓના લાભાર્થે-હિતાર્થે વધારે કથાઓ કરે છે.તેમના જીવનના સાચા માર્ગદર્શક, પથદર્શક, રાહબર તરીકે તેમનાં માતાપિતા અને આચાર્ય વિજયરત્ન સુંદરસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબને માને છે.રાજપાલજી યોગી અને તેમના ખાસ મિત્રો શકિતસિંહજી જાડેજા તેમજ કુલદીપસિંહજી જાડેજા પણ તેમના જીવન ઘડતરમાં વિશેષ ઉપયોગી નીવડયા છે.