ચલણનો અનાદર : વર્ષોથી સરકાર માન્ય 10 ના સિક્કા અને 5 ની નોટ કોઈ પકડતું નથી
બનાસકાંઠા જિલ્લામાં 10 ની નોટની કૃત્રિમ અછત પરચૂરણ અને છુટાના અભાવે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ‘તું તું મેં મેં’ ના રોજીંદા દ્રશ્યો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી સરકાર માન્ય 10 ના સિક્કા અને રૂપિયા 5 ની નોટ કોઈ પકડતું નથી.અધૂરામાં પૂરું, હાલમાં રૂપિયા 10 ની નોટ પણ જાણે ગાયબ થઈ ગઈ હોય તેમ જિલ્લાની બજારોમાં ભારે અછત વર્તાઈ રહી છે. જેના કારણે આમ પ્રજા સાથે નાના વેપારીઓની પરેશાની વધી પડી છે.
રોજબરોજના સામાન્ય આર્થિક વ્યવહાર વ્યવહારો માટે પરચુરણની ઘણી આવશ્યકતા રહે છે પરંતુ સરહદી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી 10 નો સિક્કો અને રૂપિયા 5 ની નોટને કોઈ વેપારી હાથ પણ લગાવતો નથી.જેના કારણે સરકાર માન્ય ચલણનો સરેઆમ અનાદર થઈ રહ્યો છે.હકીકતમાં 10 નો સિક્કો અને 5 ની નોટ અમદાવાદ જેવા મેગા શહેરોમાં ચાલે છે પણ સરહદી જિલ્લામાં તે જાણે અસ્પૃશ્ય બની ગયા છે.બીજી બાજુ હાલમાં જિલ્લાની બજારોમાં રૂપિયા 10 ની નોટની કુત્રિમ અછત ઉભી કરાઇ છે તેમાં પણ બજારમાં 10 ની નોટ એકદમ રદ્દી -ખરાબ હાલતમાં ફરી રહી છે. તેથી છુટાના અભાવે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે ‘તું તું મેં મેં…’ ના દ્રશ્યો રોજિંદા બની ગયા છે જેને લઈ સરકારી અને ખાનગી બેંકો મોટા પ્રમાણમાં રૂપિયા દશની નોટો બજારોમાં ફરતી કરી આમ પ્રજા અને વેપારીઓ પણ 10 ના સિક્કા અને 5 ની નોટને સ્વીકારે તેવી વ્યવસ્થા ગોઠવે તે જિલ્લાના અર્થતંત્ર માટે પણ જરૂરી છે.
શિક્ષાત્મક પગલાંની જોગવાઈ : એડવોકેટ જિલ્લામાં રૂપિયા 10 નાં સિક્કા અને 5 ની નોટ ન ચાલતી હોવા અંગે વિદ્વાન એડવોકેટનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, 10 નાં સિક્કા અને 5 ની નોટ સરકાર દ્વારા હજુ પણ ચલણમાં જ છે.તે લેવાનો કોઈ વેપારી કે ગ્રાહક ઈન્કાર ન કરી શકે. આ સંદર્ભે આર. બી. આઈ. એક્ટ 1934 અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ- 1986 અંતર્ગત સરકારી ચલણનું અવમૂલ્યન કરવા બદલ ગંભીર પ્રકારના શિક્ષાત્મક પગલાં પણ લઈ શકાય છે.આ ઉપરાંત આ ચલણ કોઈ ન સ્વીકારે તો આર.બી.આઈ.નાં ટોલ ફ્રી નંબર પર ફરિયાદ પણ નોંધાવી શકાય છે.ત્યારે દરેક ભારતીય નાગરિકની નૈતિક ફરજ બને છે કે વિના કોઈ સંકોચે રૂપિયા 10 નાં સિક્કા અને 5 ની નોટ સ્વીકારવી જ જોઈએ.