![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/Rakhewal-409.jpg)
ધાનેરા તાલુકામાં ૩ પંચાયત ઘરનું બાધકામ અટવાયું
(રખેવાળ ન્યૂઝ)ધાનેરા, ધાનેરા તાલુકામા કુલ ૧૨ ગ્રામ પંચાયતોના પંચાયત ઘરોના બાંધકામને મંજૂરી મળી હતી.જો કે માલ સામાન આપનાર એજન્સીની ઢીલી નીતિનાં કારણે પ્રારંભે કામ અટવાઈ પડ્યું હતું.બાદમાં બાંધકામમાં સ્થાનિક મનરેગા યોજનામા કામ કરતા શ્રમિકોને મજૂરી કામ આપવાનો નિયમ હોવાના કારણે મોટા ભાગની ગ્રામ પંચાયતના કામો બંધ થઈ ગયા હતા.જેની રજૂઆતના પગલે માલ સામાન માટેની એજન્સી બદલાતા આખરે એક વર્ષ પછી પંચાયત ઘરોનાં બાંધકામની શરૂઆત થઈ છે.
જેમાં ૧૨ માંથી હજુ સુધી ૩ ગ્રામ પંચાયત ઘરનું કામ માત્ર પાયા સુધી આવ્યું છે.અને મજૂરો ના મળવાના કારણે કામ આજે પણ બંધ છે.જેમાં વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલ રમુણાં, રવિયા અને મોટા મેડા પંચાયત ઘરનો સમાવેશ થાય છે.જ્યાં છેલ્લા એક વર્ષથી માત્ર પાયા સુધીનું કામ થયુ છે.સાથે માલ સમાનની ગુણવતાને લઈને પણ ગામલોકોની રજૂઆત થઈ છે.મનરેગા શાખાનાં એ. ટી.પી. ઓ. હેમાભાઈએ આ બાબતે જણાવ્યું હતું કે મજૂરો ના મળવાના કારણે પંચાયત ઘરોનું કામ બંધ છે.જે સત્વરે શરૂ કરાશે.
હાલમાં ચૂંટણી ન થતા મોટા ભાગની ગ્રામ પંચાયતમાં વહીવટીદાર શાશન હોવાના કારણે ગ્રામીણ પ્રજાની મુશ્કેલીઓ વધી રહી છે.આ ત્રણમાંથી બે ગ્રામ પંચાયતમાં પણ વહીવટદાર હોવાના કારણે ગામડાંના મૂળ પ્રશ્નો અને રજૂઆતોનો સુખદ અંત આવતો નથી. જેના કારણે સરકારની યોજનાઓ અને લાભોથી ગામડાનાં લોકો વંચિત રહી જાય છે.તેવો ગામલોકોએ રોષ ઠાલવ્યો હતો.