![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/થરાદ-વાવના-7-ગામોને-મળતું-પિયતનું-પાણી-03-HED.jpg)
ઈઢાટા માઇનોરમાં પાણી બંધ થતાં થરાદ અને વાવ તાલુકાના સાત ગામોની વિકટ પરિસ્થિતિ સર્જાઈ
બનાસકાંઠા જિલ્લાના થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી જમડા ગામેથી નીકળતી ઈઢાટા માઇનોરમાં પાણી બંધ થતાં થરાદ અને વાવ તાલુકાના સાત ગામોની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે નર્મદા વિભાગ પણ પાણી આપવાની મથામણ કરી રહ્યું છે. મુખ્ય કેનાલમાં પાણીનું લેવલ જળવાઈ રહે તો ખેડૂતોને સતત પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી ઈઢાટા માઇનોર કેનાલમાં છેલ્લા 15 દિવસથી પાણી ના આવતા ખેડૂતો દ્વારા નર્મદા વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે નર્મદા વિભાગ દ્વારા મુખ્ય કેનાલમાં બકનાળા મૂકી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે મથામણ કરી રહ્યું છે ત્યારે પાણીનું લેવલ ન જળવાતા કેનાલમાંથી પાણી માઇનોર કેનાલમાં ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
જોકે આ બાબતે નર્મદા તંત્ર દ્વારા પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે. થરાદ વાવ તાલુકાના સાત જેટલા ગામોને મળતું પિયત માટે પાણી છેલ્લા 10 દિવસથી છોડવામાં આવતું નથી. જેથી કરીને ખેડૂતોની હાલત અત્યારે કપરી થઈ જવા પામી છે. આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જમડા ઈઢાટા માઈનોર એક અને બેમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
પાણી બાબતે નર્મદા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેઇન કેનાલમાંથી પુરવઠો આપવામાં આવે છે તે પાણીનું લેવલ આછું પડે છે માટે ફોલ્ડિંગ પાઇપો દ્વારા પાણી મળવું મુશ્કેલ છે. જેના કારણે અમે ખેડૂતોને પાણી આપી શકતા નથી જેને લઇ નર્મદા વિભાગના અધિકારીઓ અને અમારી ટેકનિકલ ટીમ દ્વારા સતત મુખ્ય કેનાલ ઉપર ખેડૂતોને પાણી મળી રહે તેના માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને શક્ય તેટલું જલ્દી ખેડૂતોને પાણી મળી જશે. આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે, નર્મદાની મુખ્ય કેનાલના પાણીનું લેવલ ઓછું હોવાના કારણે અમને પાણી મળતું નથી. જો નર્મદા વિભાગ દ્વારા મુખ્ય કેનાલના પાણીનું લેવલ જાળવી રાખે અથવા તો તાત્કાલિક ધોરણે ગેસ બનાવવામાં આવે જેને લઇ ખેડૂતોને પૂરતું પાણી મળી રહે અને અમારો પાક બચી શકે તેમ છે.