![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/પૃથ્વી-શોને-મુંબઈની-રણજી-ટીમમાં-સ્થાન-ન-મળ્યું.jpg)
પૃથ્વી શોને મુંબઈની રણજી ટીમમાં સ્થાન ન મળ્યું : એસોસિયેશને પહેલી બે મેચ માટે ટીમ જાહેર કરી અજિંક્ય રહાણે કેપ્ટન રહેશે
મુંબઈએ આગામી રણજી ટ્રોફીની નવી સિઝનની પ્રથમ બે મેચ માટે 15 સભ્યોની ટીમ બહાર પાડી છે. ભારતના યુવા બેટર પૃથ્વી શોને આમાં સ્થાન મળ્યું નથી.
અજિંક્ય રહાણે સતત બીજી સિઝનમાં ટીમનું સુકાન સંભાળશે. 2023માં, મુંબઈની ટીમ એલિટ ગ્રુપ Bમાં ચોથા સ્થાને રહી અને નોકઆઉટ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી.
મુંબઈ 5 જાન્યુઆરીએ બિહાર સામે તેમના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 12થી 15 જાન્યુઆરી સુધી આંધ્ર પ્રદેશ સાથે ટક્કર થશે.
ગયા વર્ષે શો કાઉન્ટી ક્રિકેટ ટીમ નોર્થમ્પટનશાયરનો ભાગ બન્યો હતો. સપ્ટેમ્બરમાં ડરહામ સામેની મેચમાં તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. તે પછી તે 3 મહિનાના રિકવરી બ્રેક પર હતો. જોકે, મુંબઈ ક્રિકેટ એસોસિયેશને શોના ટીમમાં ન હોવા અંગે કંઈ કહ્યું નથી. શોએ મુંબઈ માટે 44 રણજી મેચમાં 12 સદીની મદદથી 3802 રન બનાવ્યા છે.
મુંબઈ રણજીની સૌથી સફળ ટીમ છે પરંતુ 2015-16થી તે ટાઈટલ જીતી શકી નથી
રણજી ટ્રોફીના ઈતિહાસમાં મુંબઈ સૌથી સફળ ટીમ છે. તેઓએ 88 સિઝનમાં 39 વખત ટ્રોફી જીતી છે જે 44.3 ટકા છે. આ પછી બીજી સૌથી સફળ ટીમ કર્ણાટક છે જેણે 8 વખત ટાઈટલ જીત્યું છે. જોકે, મુંબઈએ 2015-16 સિઝન પછી એક પણ ટાઇટલ જીત્યું નથી. ત્યારપછી મુંબઈએ બે વખત ફાઈનલ રમી હતી, જેમાં તે જીતી શકી નહોતી. અગાઉની (2022-23) સિઝન સૌરાષ્ટ્રે જીતી હતી.
પ્રથમ બે રણજી મેચ માટે મુંબઈની ટીમની ટીમ- અજિંક્ય રહાણે (કેપ્ટન), જય બિસ્તા, ભૂપેન લાલવાણી, હાર્દિક તામોર, સરફરાઝ ખાન, શિવમ દુબે, સુવેદ પારકર, પ્રસાદ પવાર, શમ્સ મુલાની, તનુષ કોટિયન, તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી, ધવલ કુલકર્ણી, રોયસ્ટન ડાયસ અને અથર્વ અંકોલેકર.