![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/11-4.jpg)
હિંમતનગરના એસટી ડેપોમાં એનએસએસના વિધાર્થીઓએ જાગૃતિ અભિયાન કર્યુ
શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત આજે હિંમતનગર એસટી ડેપોમાં એનએસએસના વિધાર્થીઓએ સફાઈ અંગેની જાગૃતિ માટેની રેલી યોજી સફાઈની સમજ આપી હતી.આ અંગેની વિગત એવી છે કે, રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન શરૂ કર્યુ હતું. જેને લઈને એસટી ડેપોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હિંમતનગર એસટી વિભાગીય કચેરી હેઠળના સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના એસટી ડેપો પર સ્વચ્છતાને લઈને રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેને લઈને એસટી ડેપો પર આવતા મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃતિ પણ આપવામાં આવે છે.
હિંમતનગરના એસટી ડેપો પર ગુરુવારે મહેતાપુરામાં આવેલી શ્રીત્રિવેણી વિધાલયના એનએસએસના વિધાર્થીઓની શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ રેલી એસટી ડેપોના પ્લેટફોર્મ પર ફરી હતી. સાથે હિંમતનગર એસટી ડેપો મેનેજર ચેતનભાઈ પટેલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને સ્કૂલના શિક્ષકો પણ જોડાયા હતા.વિધાર્થીઓએ પ્લેટફોર્મમાં બેઠેલા મુસાફરોને કચરો બસ સ્ટેન્ડમાં મુકેલા ડસ્ટબિનમાં નાખવા કહ્યું હતું. પ્લેટફોર્મ પર એનએસએસના વિધાર્થીઓએ કચરો પણ વાળ્યો અને છૂટો છવાયો પડેલો કચરો વીણી ડસ્ટબિનમાં નાખ્યો હતો.