![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/01/Rakhewal-201.jpg)
હિંમતનગરમાં બસ સ્ટેશન સામે મુલ્કી ભવન સીલ કરાયું
હિંમતનગરના બસ સ્ટેશન સામે આવેલા મુલ્કી ભવનને જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ચુસ્ત પોલીસ બંદોબસત વચ્ચે સોમવારે સીટી સર્વે દ્વારા સીલ કરવામાં આવ્યુ હતુ. 20 વર્ષ પહેલા મહેસુલી ભવન બનાવવા જમીનની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ સરકારના નિયમોનુ ઉલ્લઘન કરીને મહેસુલી ભવનના બાંધકામના હેતુ માટે મંજૂર કરવામાં આવેલી જમીનમાં કોમર્શીયલ સંકુલ ઉભુ કરવામાં આવ્યુ હતુ. જે અંગેની રજૂઆત બાદ હાઇકોર્ટમાં રીટ પીટીશીયન દાખલ કરવામાં આવી હતી.
હિંમતનગર બસ સ્ટેન્ડ સામે આવેલ સીટી સર્વે નંબર 437 પૈકીની 1 હજાર ચોરસ મીટર જમીન મહેસુલ બનાવવા માટે પ્રમુખ સાબરકાંઠા જિલ્લા મહેસુલી કર્મચારી વર્ગ 3 મંડળ દ્વારા માંગણી કરવામાં આવી હતી. જેથી સરકારના મહેસુલ વિભાગની જોગવાઇ અનુસાર નવી અને અવિભાજય અને વિક્રિયાદીત નિયંત્રીત શરતે સાબરકાંઠા જિલ્લા મહેસુલી કર્મચારી મંડળને મહેસુલી બનાવવા માટે જમીન ફાળવવામાં આવી હતી અને મંજૂર કરવામાં આવેલી જમીન તેજ હેતુ માટે ઉપયોગ કરવાનો રહેશે તેવી શરતો રાખવામાં આવી હતી. પરંતુ મહેસુલી ભવવના બાંધકામના હેતુ માટે મંજૂર કરવામાં આવેલી જમીનમાં કોમર્શીય સંકુલ ઉભુ કરવામાં આવ્યુ હતુ.
જે અંગે સુથાર ડાહ્યાલાલ હરજીવનદાસે રજૂઆત કરતા નાયબ કલેક્ટરને તપાસ આપવામાં આવી હતી. તા.6/1/2001 ના હુકમથી જમીન ઉપર થતું બાંધકામ સ્થગિત કરવા માટે મનાઇ હુકમ આપવામાં આવ્યો હતો. મંડળ દ્વારા રિવીઝન અરજી દાખલ કરવામાં આવતા હુકમ રદ કરવામાં આવ્યો હતો અને કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. જે અંગે નાયબ કલેક્ટરનો વિગતવાર અહેવાલ મળે તે પૂર્વે રમેશચંદ્ર હરેશચંદ્ર ચોક્સી નામના અરજદારે નામદાર હાઇકોર્ટમાં સ્પેશ્યિલ રીટ પીટીશન દાખલ કરી જમીન ફાળવણીનો હુકમ રદ કરવા, પાલિકાની બાંધકામની મંજૂરી આપતો હુકમ રદ કરવા સ્વતંત્ર તપાસ સોંપવા, બાંધકામ થતુ અટકાવવા દાદ માંગવામાં આવી હતી અને નામદાર કોર્ટ દ્વારા તા.7/8/2001ના રોજ મનાઇ હુકમ આપવામાં આવ્યો હતો. હિંમતનગર સીટી સર્વે નંબર 437 ની 1 હજાર ચોરસ મીટર જમીન પ્રમુખ મહેસુલી કર્મચારી (વર્ગ-3 મંડળ) હિંમતનગરને જે હેતુ માટે ફાળવવામાં આવી હતી. તેના બદલે જમીનનો ઉપયોગ અન્ય હેતુ માટે થતો હોવાનું માલુમ પડ્યુ હતુ. જેથી જમીન સહિત બીના વળતરે સરકાર સદરે દાખલ કરવા હુકમ કરી વિવાદીત જમીનનો કબ્જો બાંધકામ સહિત સરકાર હસ્ત કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો હતો.