![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/19-3.jpg)
સાબરકાંઠા અને અરવલ્લીમાં અમુલ ઘીના 15 કિલોના ડબ્બા પર સાબરડેરીનું લેબલ લાગશે
સાબરડેરી દ્વારા અમુલ ઘીની બ્રાડથી ઘીનું વેચાણ થતું હતું. હવે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અમુલની જગ્યાએ સાબરડેરીના લેબલથી 15 કિલો ઘીના ડબ્બાનું વેચાણ શરુ કરાયું છે. અગામી સમયમાં તમામ અમુલ ઘીના બદલે સાબર ડેરી ઘી લેબલથી વેચાણ કરવામાં આવશે.તાજેતરમાં અંબાજીમાં પ્રસાદ બનાવવામાં નકલી ઘી બહાર આવ્યું હતું. જેના પર અમુલનો ડબ્બો હોવાને લઈને ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યાર બાદ સાબર ડેરી દ્વારા અંબાજીમાં ઘીના મામલે ફરિયાદ પણ દાખલ કરાવી હતી. બીજી તરફ સાબરડેરી દ્વારા ઘી પેકિંગ કરવામાં આવતું હતું અને અમુલનું લેબલ લગાવવામાં આવતું હતું. જે હવેથી બદલી નાખવાનો નિર્ણય સાબરડેરી દ્વારા કરવામાં આવ્યો છે.ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરડેરી ઘીના લેબલથી 15 કિલો ઘીના ડબ્બાનું વેચાણ શરુ કર્યું છે. ત્યારે અગામી દિવસમાં ઘીમાં દરેક નાના મોટા પેકિંગ પર પણ સાબર ડેરી ઘીનું લેબલ લાગવવામાં આવશે.
આ અંગે સાબરડેરીના એમડી સુભાષભાઈ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,15 કિલો ઘીના ડબ્બા સાબરડેરીમાં પેકિંગ થતા હતા. તેના પર અમુલનું લેબલ લગાવવામાં આવતું હતું અને વેચાણ થતું હતુ. જે હવે સુચના મુજબ સાબરડેરીમાં જ ઘી પેકિંગ કરીને તેની પર સાબર ડેરી ઘીના લેબલ લગાવીને બજારમાં વેચાણ માટે મુકવામાં આવ્યું છે.હાલમાં 15 કિલો ઘીના ડબ્બા પર સાબરડેરી ઘીના લેબલથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જ મળશે. બંને જિલ્લામાં એક મહિનામાં અંદાજીત 150 ટન ઘીનું વેચાણ થાય છે. ત્યારે અગામી સમયમાં ઘીની તમામ પ્રોડક્ટ પર અમુલની જગ્યાએ સાબરડેરીનું લેબલ લગાવવામાં આવશે. એટલે કે, લોકલ ફોર વોકલ જોવા મળશે. તો હાલમાં 15 કિલો ઘીના ડબ્બા પર લેબલ બદલવામાં આવ્યું છે.