![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/14-3.jpg)
હિંમતનગર તાલુકાના 12થી વધુ ગામના ખેડૂતોએ UGVCLકચેરીએ અધિકારીઓને આવેદનપત્ર આપ્યું
રાજ્ય સરકારે મોટા ઉપાડે શરૂ કરેલી કિસાન સુર્યોદય યોજનાનો ફિયાસ્કો થતા બુધવારે હિંમતનગર તાલુકાના 12થી વધુ ગામના ખેડૂતો દિવસની લાઈટ આપવાની રજૂઆત કરવા વીજ કચેરીએ પહોંચ્યા હતા. તો ગાંભોઈ, મોતીપુરા અને હાજીપુર UGVCL કચેરીએ પહોંચીને અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.ગુજરાત સરકારે શરૂ કરેલ કિસાન સુર્યોદય યોજના નામ માત્રની રહી જતા ખેડુતો રોષે ભરાયા છે. ત્યારે હિંમતનગરના મોતીપુરામાં સર્કલ અને હાજીપુરમાં મુખ્ય વીજ કચેરી ખાતે ખાતે હિંમતનગર તાલુકાના 12થી વધુ ગામના ખેડૂતો અને હિંમતનગર ગાંભોઇ વીજ કચેરી ખાતે 10 ગામોના ખેડુતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. હાલમાં રવિ સીઝનનું વાવેતર કર્યું છે અને સિંચાઈ માટે લાઈટની જરૂરિયાત છે. બીજી તરફ રાત્રે કડકડતી ઠંડીમાં જંગલી જનાવરોના ભય વચ્ચે ખેતરમાં પાણી વાળવા માટે જવુ પડે છે. તો સામે રાત્રી લાઈટમાં પણ અનિયમિતા જોવા મળે છે.
ત્યારે પરેશાન થયેલા ખેડૂતોએ આજે હિંમતનગરના મોતીપુરા, હાજીપુરા અને ગાંભોઇ UGVCLની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં હલ્લાબોલ કરીને આવેદનપત્ર આપ્યું હતું. તો ખેડૂતોએ આવેદનપત્ર આપી દિવસે વીજળી આપવાની માંગ કરી હતી. ત્યારે હાલમાં બટાકા, ઘઉં, ચણા, વરિયાળી, સહિત શાકભાજીનું મુખ્ય વાવેતર કરેલું છે. જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો સુત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી અને એક જ માગ કરી હતી કે વીજળી દિવસની કરો અને એ પણ આઠ કલાક તો રાતની વીજળી પણ અનિયમિત હોય છે. જેને લઈને ઠંડીમાં પાણી વાળવુ જંગલી જાનવર સાપ, અજગર, ભુંડ સહિત દીપડાનો પણ ભય સતાવી રહ્યો છે. તો તમામ ખેડુતોએ એક થઈ માત્ર દિવસની વિજળીની માગ કરી હતી.આ અંગે હિંમતનગરના પ્રતાપપુરાના સુરેશ પટેલ, ચાંદરણી ગામના ધર્મપાલસિંહ ભાટી, ગાંધીપુરા કંપાના નરસિંહ પટેલ, પ્રાંતિજના સોનાસણના મયુર પટેલએ જણાવ્યું હતું કે, ખેડૂતોને હાલમાં કેટલી તકલીફ છે. ઠંડીમાં પાણી સિંચાઈ કેવી રીતે કરવી, ડુંગરવાળા વિસ્તારમાં રાત્રી દરમિયાન ખેતરમાં પાણી વાળવા જાય ત્યારે જંગલી જનાવરો અને પ્રાણીઓને લઈને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?દિવસે લાઈટ આપવા માગ કરીએ છીએ, નહીતર અગામી દિવસમાં આંદોલનના માર્ગે જવું પડશે. UGVCL કચેરીના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું છે. અધિકારીઓએ પણ સરકારમાં ખેડૂતોને માંગણી મોકલી આપવા જણાવ્યું પણ હતું.