સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો માણવા જન મેદની ઉમટી, પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સરામણ વિધિ કરાવી
સિદ્ધપુર કાત્યોકનો મેળો વિશેષ ભાત ઉપસાવી રહ્યો છે. અર્પણ, તર્પણ અને સમર્પણના ત્રિવેણી સંગમ સમા આ લોકમેળામાં હજારો શ્રદ્ધાળુઓ મેળાની મોજ માણવા આવે છે. અત્રે ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમ રચાતો હોવાની પૌરાણિક કથાને લઈને શ્રદ્ધાળુઓ સ્નાન તર્પણ કરીને ધન્યતા અનુભવે છે. આ મેળામાં પૂનમથી ત્રીજ સુધી શહેરીજનોની ભીડ જામે છે. મેળો રાત્રે રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. ચૌદશની મધ્યરાત્રીથી પૂનમ સુધીના માતૃતર્પણ માટે લાખો લોકોએ તર્પણ વિધિ કરાવી હતી.
સિધ્ધપુર કાર્તિકી પૂનમના મેળામાં કારતક પૂનમના રોજ લોકોનો અવિરત પ્રવાહ ચાલુ થયો હતો જેમાં આજરોજ મોટી સંખ્યામાં લોકોએ સરામણા વિધિ કરી હતી .વિધિ માટે બ્રમાંડેશ્વર મહાદેવ મંદીર નદીના પટમાં , માધુ પાવડીયા ઘાટ લોકો માટે બેસવા મંડપની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. લોકોએ કુવારીકા સરસ્વતીના ત્રિવેણી સંગમનો અમૂલ્ય લ્હાવો લીધો હતો.ચૌદશના દિવસે કુવારીકા સરસ્વતી નદીમાં ગંગા, યમુના, સરસ્વતીનો ત્રિવેણી સંગમ થતો હોવાની લોક વાયકાને લઈ લાખો શ્રધ્ધાળુઓ નદીમાં ડુબકી મારે છે. અને આ વખતે તો સરસ્વતી ચેકડેમમાં પણ પાણી ભરાયેલું છે. જેથી શ્રદ્ધાળુઓમાં વધુ આનંદની લાગણી જોવા મળી હતી.
માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં પવિત્ર સરસ્વતી નદીના પટમાં ચાલી રહેલા કાર્તિકી પૂર્ણિમા ના મેળામાં શનિવારથી શહેરીજનો માટેનો મેળો શરૂ થયો હતો. મહેમાનોની આગતા સ્વાગતા કર્યા પછી નગરમાં રહેતા પરિવારો પાંચ દિવસ સુધી મેળો માણશે. સાથે સાથે આસપાસના વિસ્તારમાંથી પણ લોકો મેળામાં આવી રહ્યા છે. વરસાદે વિરામ લેતા મેળામાં લોકોનો ધસારો વધ્યો હતો. અત્યાર સુધીમાં અંદાજે લાખની અંદર લોકોએ મેળાનો લાભ લીધો હતો અહીં મોટી સંખ્યામાં નાના મોટા રોજગાર કર્તાઓ વ્યાપાર રોજગાર કરી રહ્યા છે ત્યારે મેળામાં તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ લોકો ખરીદી રહ્યા છે અને સાથે ચકડોળો ચકરડી મોતનો કૂવો તેમજ અન્ય રાઈડસમાં મનોરંજન માણી રહ્યા છે.
આ ઉપરાંત વેપાર અર્થે આવેલા પાથરણા વાળાઓ , ખાટલા બજાર સહીત ખાણી પીણી અને વિવિધ ખરીદી ના સ્ટોલ શરૂ થતા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વેપાર અર્થે આવેલ ચગડોળ વાળા અને પરપ્રાંતીય લોકોએ વરસાદ રહી જતા હાશકારો અનુભવ્યો હતો.