![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/જામીન-અરજી.jpg)
લૂંટ-ધાડના કેસ માં જામીન અરજી પાટણ સેશન્સ જજે ફગાવી
સિધ્ધપુરનાં ગંજ બજારની એચ.એમ. આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાની ફિરાકમાં ધાડ અને લૂંટનું કાવતરૂ કરીને ધાડને અંજામ આપવાની તૈયારી કરી રહેલી ધાડપાડુ ટોળકીનાં છ સાગરિતોને પોલીસે તા. 30-8-23ના રોજ ઝડપી લઈને લૂંટ-ધાડનું કાવતરૂ નિષ્ફળ બનાવ્યું હતું. આ કેસના ઝડપાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓ કિશનસિંહ દરબાર રે. સુણસર, તા. ચાણસ્મા અને ગણપતસિંહ જેણુભા ડાભીએ આ કેસની ચાર્જસીટ પછી ફરીવાર મુકેલી નિયમીત જામીન અરજી પાટણનાં સેશન્સ જજે ફગાવી દીધી હતી.
આ બનાવનાં તમામ છ આરોપીઓની જામીન અરજી a અગાઉ તા. 30-12-23નાં રોજ નામંજુર કરી હતી. અત્રે નોધનીય છે કે, આ શખ્સોએ સિધ્ધપુર ગંજબજારની એચ.એમ. આંગડીયા પેઢીના કર્મચારીની હિલચાલ ઉપર નજર રાખી અમે રેકી કર્યા બાદ આરોપી કિશનસિંહ કે જેઓએ આ કર્મચારી રૂ 35.40 લાખ લઈને નિકળતા હોવાથી ટીપ સહઆરોપીઓને આપી હતી. જેથી આરોપીઓએ પૈસા લઈને નિકળનારા આંગડીયા કર્મીની આંખમાં મરચાની ભૂકી નાંખીને પૈસાની લૂંટ કરવાનો પ્લાન ઘડયો હતો. પરંતુ તે સફળ થાય તે પૂર્વે જ આરોપીઓ પોલીસનાં હાથે કાર, બાઈક, છરી મરચાની ભૂકી, બે ધોકા, સળીયો સાથે પકડી પાડયા હતા. તેમની સામે જે તે વખતે ગુનો નોંધાયો હતો. આ બનાવમાં આરોપી ગણપતસિંહ સામે પણ અગાઉ લૂંટનો ગુનો નોંધાયેલો છે. આ બંનેની જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકારી વકીલ ડૉ. મિતેશ ડી. પંડયાએ રજૂઆત કરી હતી.