પાટણ : એક જ સમાજનાં બે પક્ષો વચ્ચે ઝઘડો અને મારામારી
પાટણ શહેરનાં સિધ્ધપુર ચાર રસ્તા વિસ્તારમાં તિરૂપતિ બજારની ભાગે શ્રમજીવી સોસાયટીમાં ઢોર બાંધવાનાં ખિલાનાં કારણે ગાડી મૂકવામાં નડતરરૂપ બનવા મામલે એક જ સમાજનાં બે પક્ષો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી. જેમાં ધારીયા અને ટોમીથી હુમલો કરતાં કેટલાકને ઇજા પહોંચી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ શહરેનાં શ્રમજીવી સોસાયટી, સિનેમા પાછળ રહેતા અને ડ્રાઈવીંગ કરતાં જીવણભાઈ ભરવાડનાં ઘરની બાજુમાં રહેતા ઝકુબેને ઢોર બાંધવાનો ખિલો લગાવેલો છે. જેથી જીવણભાઈએ તેમને કહેલ કે, “મારી ગાડીને રાખવામાં નડતરરૂપ થાય છે તમે આ ખિલો અહીંથી કાઢી નાંખો. તેમ કહેતાં ઝકુબેને જીવણભાઈ સાથે ઝઘડો કરીને બોલાચાલી કરી હતી. આથી ઝકુબેનેનાં ભાઈ કચરાભાઈ આવી જતાં તેમણે જીવણભાઈને કહેલ કે, “તુ મારી બેન સાથે કેમ અવારનવાર ઝઘડા કરે છે” તેમ કહી ગાળો બોલી હતી તેથી જીવણભાઇએ કહેલ કે, ‘આ અમારા ઘરનો મામલો છે. તમે કેમ વચ્ચે આવો છો? તેમ કહેતાં કચરાભાઈએ ઉશ્કેરાઈને “આજે તને સીધો કરવો છે” તેમ કહી કચરાભાઇએ કોઇને ફોન કરતાંતેમનો દિકરો ગોપીભાઈ તેની લોડીંગ રીક્ષામાં તેની સાથે અન્ય બે વ્યક્તિને લઇને આવી ધારીયાથી જીવણભાઈને મારવા દોડયા હતા.
જેથી જીવણભાઇનો દિકરો મૌલિક વચ્ચે પડતાં કચરાભાઈએ મૌલિકનાં માથામાં ધારીયું તથા એક જણાએ જીવણભાઈને ટોમી તથા જીવણભાઇની માતા પૂરીબેન વચ્ચે પડતાં તેમને ગડદા પાટુનો માર માર્યો હતો. આ બનાવમાં મૌલિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે પાંચ જણા સામે આઇપીસી 327/324/323 મુજબનો ગુનો નોંધ્યો હતો.