![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/Dinesh-390.jpg)
રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનની સહાય ચુકવવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી
રાજ્યભરમાં ગઈકાલે માવઠું વરસ્યું હતું. જેથી ખાસ કરીને ખેતી પાકમાં ખુબ નુકસાન પહોંચ્યું છે. જેને પગલે ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો હતો. ત્યારે રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે, રાધનપુર-સાંતલપુર, સમી તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનની સહાય આપવામાં આવે.
રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મારા મત વિસ્તારના રાધનપુર-સાંતલપુર-સમી તાલુકામાં કરા સાથે ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી મારા મત વિસ્તારના ત્રણેય તાલુકાના ખેડૂતોને રવિ પાકમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોઘા ભાવના જીરાના વાવેતર કરેલ હતા. તે જીરાના પાકને કમોસમી ભારે વરસાદથી ખુબ નુકસાની થઈ છે. તેમજ જીરુ, સવા, ઘંઉં, અજમો, મઠ, ગવાર, રાયડુ, એરંડા, કપાસ તેમજ અન્ય રવિ પાકોને ભારે નુકસાની થઈ છે.
ત્રણેય તાલુકાના ખેડૂતોની માંગણી છે કે, તેમને થયેલ પાક નુકસાન સહાય માટે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને તેમને થયેલા પાક નુકસાનની સહાય આપવામાં આવે. જેથી પાક નુકસાની સહાયની ખેડૂતોની માંગણીનો સ્વીકાર કરી તેમને પાક નુકસાન સહાય આપવા મારી વિનંતી છે.