પાટણ જિલ્લા તથા તાલુકાની તમામ કોર્ટોમાં તારીખ 22 જૂનના રોજ લોક અદાલતનું આયોજન કરાયું
પાટણ જિલ્લા તથા તાલુકાની તમામ કોર્ટોમાં આગામી તા. 22-06- 2024 ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ લોક અદાલતનો લાભ જિલ્લાના તમામ પક્ષકારોને મળી રહે તે હેતુસર, આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો, વાહન અકસ્માતને લગતા કેસો, મજુર તકરારને લગતા કેસો, લગ્નજીવન તકરાર કે પરીવાર તકરારને લગતા કેસો, બેંકને લગતા, જમીન વળતરને લગતા કે અન્ય દાવાઓ, દિવાની કેસો વિગેરે સમાધાનને લાયક તમામ પ્રકારના કેસો આ નેશનલ લોક અદાલતમાં મુકી શકાય છે.
ઉપરાંત પ્રિલીટીગેશન કેસો એટલે કે જે કેસો કોર્ટમાં આવેલ ન હોય પરંતુ પક્ષકારો વચ્ચે તકરાર હોય, તે તકરારોનાં કોર્ટમાં કેસ આવે તે પહેલા સુખદ નિકાલ આવે તે અંગે પણ લોક અદાલતમાં મુકવામાં આવે છે. તો તેવી તકરાર અંગે પણ લોક અદાલતમાં પતાવટ કરવામાં આવશે. જે કોઈ વ્યકિત કોર્ટમાં ચાલતા આવા કોઈ પણ પ્રકારના સમાધાનના કેસો આ નેશનલ લોક અદાલતમાં મુકવા માંગતા હોય, તેવા લોકો પોતે કે પોતાના વકીલો મારફત જે તે સબંધીત અદાલતમાં પોતાના કેસો મુકી શકે છે અને તેના માટે તેમણે સબંધીત જિલ્લાની કોર્ટો કે તાલુકાની કોર્ટોનો સંપર્ક કરવા પાટણ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીએ જણાવ્યું હતું.