![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/05-2.jpg)
પાટણ જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે 200 એકર વાવેતર પાકોમાં ડ્રોનથી ખાતર અને દવાનો છંટકાવ કર્યો
પાટણ જિલ્લાના ખેડૂતો ખેતીમાં ઉત્પાદન વધારવા અને પાકને રોગ જીવાતથી રક્ષણ આપવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે છેલ્લા બે વર્ષથી ખેડૂતો હવે ખેતરમાં પાકને ખાતર અને દવા આપવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે .આ વર્ષે 200 એકર વાવેતરમાં ડ્રોનની મદદથી નેનો ખાતર અને જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવ્યો છે.સરહદી એવા પાટણ જિલ્લા જિલ્લામાં ખેતી અને પશુપાલન એ લોકોનો મુખ્ય વ્યવસાય છે અને જિલ્લાના મોટાભાગના લોકો આ બે વ્યવસાય પર નિર્ભર છે. ત્યારે ખેડૂતો ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા અને પાકોને રોગ જીવાતથી રક્ષણ આપવા માટે વિવિધ પ્રકારની પદ્ધતિઓ ,ટેકનોલોજી,ખાતર ,બિયારણ ,જંતુનાશક દવાઓ નો ઉપયોગ કરી રહ્યા છે .ત્યારે હાલના આધુનિક યુગમાં 21મી સદીમાં ખેડૂતો અવનવી ટેકનોલોજી નો ઉપયોગ કરી રહ્યા છે .જેમાં ખેડૂતો દ્વારા ખેતી પાકોને ખાતર આપવા માટે અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે ડ્રોન ટેકનોલોજી નો ઉપયોગ કરી રહ્યા છે.આ ટેકનોલોજીમાં રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ડ્રોન નો ઉપયોગ કરવા માટે સબસીડી આપીને તેનો મહત્તમ ઉપયોગ થાય તે માટેના પ્રયાસો કરી રહ્યું છે .ગત વર્ષે જિલ્લામાં 180 એકર જમીનમાં વાવેતર કરવામાં આવેલા પાકોમાં ખાતર આપવા અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે ખેડૂતો દ્વારા ડ્રોન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ચાલુ વર્ષે સાંતલપુર પંથકમાં 100 એકર અને સરસ્વતી તાલુકામાં 100 મળી કુલ 200 એકર વાવેતર કરવામાં આવેલ ખેતી પાકો માં નેનો યુરિયા અને ડીએપી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે ખેડૂતો દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હાલમાં પણ જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને ડ્રોન દ્વારા દવા અને ખાતરનો છંટકાવ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.હાલમાં પાટણ જિલ્લામાં ચાલી રહેલી વિકસિત ભારત યાત્રામાં પણ જીએનએફસીના કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોન દ્વારા દવા અને ખાતરના છંટકાવના ડેમો કરીને ખેડૂતોને આ ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ કરવા માટેની સમજ આપવામાં આવી રહી છે .જો વ્યક્તિગત ખેડૂત લાભાર્થી હોય તો તેને ઓનલાઈન આઇ ખેડુત ઉપર અરજી કરીને ડ્રોનથી દવાનો અને ખાતર નો છંટકાવ કરવા માટે અરજી કરવાની રહે છે.કોઈ સહકારી સંસ્થા હોય અને તેની સાથે 100 થી 150 ખેડૂતો જોડાયેલા હોય તો સહકારી સંસ્થાઓ વગેરે પણ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દવા અને ખાતરનો છંટકાવ કરી રહ્યા છે. તેમ ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.