સિધ્ધપુર પથ્થર પોળ ખાતે આવેલ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ મશીન બંધ રહેતાં ગ્રાહકો પરેશાન
બેંક ગ્રાહકલક્ષી સેવાઓમાં પુરી પાડવામાં અસમર્થ રહી હોવાનો સૂર આલાપ્યો
( રખેવાળ ન્યૂઝ, સિધ્ધપુર ) સિધ્ધપુર ખાતે બેંકોની ગ્રાહકો માટેની સેવાલક્ષી કામગીરી દિન પ્રતિદિન કથળી રહી છે તેવા સુર ઉઠવા પામ્યા છે. ખાતેદારોના સવલતો માટે મુકવામાં આવેલ એટીએમ હોય કે પછી પાસ બુક એન્ટ્રી મશીન ગમે તે સમયે ચાલુ બંધ રહેશે જેને લઈને ખાતેદારોને ધરમધકકા ખાવા પડી રહ્યા છે. જ્યારે ગ્રાહકોની લાંબી કતારો લાગી હોય ત્યારે ઈન્ટરનેટ સુવિધા ન મળવાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ બાબતે બેંકમાં પુછતા સંતોષકારક જવાબ મળતા નથી. બીજી તરફ વાત કરીએ તો સિધ્ધપુર પથ્થર પોળ ખાતે બેંક ઓફ બરોડાની શાખાનું એટીએમ આવેલ છે. જેનો ઉપયોગ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો અને ગામમાં રહેતા લોકો કરી રહ્યા છે. ભાટવાડો, જડિયાવિરનો મહોલ્લો, પથ્થરપોળ, રામજીપુરાનો મહોલ્લો, અચલપુરાનો મહોલ્લો વિગેરે વિસ્તારોમાં રહેતા લોકોના ખાતા આ બેંકમાં આવેલા છે. બેંકની બહાર મુકવામાં આવેલ એ.ટી.એમ મશીન કેટલાય દિવસોથી બંધ છે. જેને કારણે ખાતેદારોને સેવા મળતી નથી.
ખાતેદારોમાં ચર્ચાતી વાતો મુજબ, પથ્થર પોળ ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખાનું એટીએમ બંધ કરવામાં આવી રહ્યું છે. જો આ એટીએમ બંધ થશે તો આજુબાજુના વિસ્તારના લોકો સહિત શહેરની અંદર રહેતા લોકોને રાત્રીના સમયે પૈસા ઉપાડવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે બીજી બેંકોના એટીએમ પણ ગ્રાહકલક્ષી સેવાઓમાં પુરી પાડવામાં અસમર્થ રહી છે તેવો સૂર આલાપ્યો છે. ઉપરોક્ત સમસ્યાને ધ્યાને લેતાં પથ્થર પોળ ખાતે આવેલ બેંક ઓફ બરોડાની શાખાનું એટીએમ સત્વરે કાર્યરત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.