![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/વરાણા-ધામમાં-માતાજીના-04-HED.jpg)
વરાણા ધામે ચારે તરફ પ્રાગટય દિને મોટી સંખ્યામાં લોકો માના દર્શન કરવા ઉમટયા
વઢિયારનું તેજ એટલે આઈ શ્રી ખોડલનું વઢિયાર ધામ, વઢિયાર પંથકના પ્રકાશપુંજ સમા વરાણા ધામે ભરાતા લોક મેળામાં આજે આઈ શ્રી ખોડીયારના પ્રાગટય દિને મોટી સંખ્યામાં લોકો માના દર્શન કરવા ઉમટયા હતા. દુર દુરથી લોકો આજે વરાણાની આઠમે દર્શન કરવા પહોંચ્યા હતા. આઠમે દર્શન કરતા અનેક સંઘો ગત મોડી રાત્રેજ વરાણા ધામે આવી પહોંચ્યા હતા. આજે વરાણા ધામે ચારે તરફ માતાજીના ભક્તોની ગુંજ સાંભળવા મળતી હતી.
મંદિર પરિસર બહાર મેળો વિશાળ જગ્યામાં પથરાઈ જતા ચારે તરફથી આવતા લોકોમાં મેળાની રંગત જોવા મળી છે. આટલા વિસ્તારમાં પણ આઠમે તો ચારે તરફ ભીડ જ ભીડ હોય છે. હજારો ભકતો આજે માના ધામે દર્શને પહોંચ્યા હતા. આ વર્ષે માં ના પ્રાગટ્ય દિવસ આઠમના રોજ ભારે ભીડ જોવા મળી હતી.
આઈ શ્રી ખોડીયારનો મેળો 15 દિવસનો ભરાય છે. આ 15 દિવસ દરમિયાન દુર દુરથી લોકો બાધા પુર્ણ કરવા આવતા હોય છે. પગપાળા આવનાર શ્રધ્ધાળુઓ પણ પોતાની અનુકુળતાએ આ 15 દિવસમાં દર્શને આવતા હોય છે. પરંતુ આ તમામ બાબતો સાથે માં ખોડીયારના પ્રાગ્ટય દિન એટલે મહા સુદ-8 આજના દિવસને વઢિયાર પંથકમાં વરાણાની આઠમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે દુર દુરથી સંઘો આવી માના ચરણે શિશ ઝુકાવી ધન્યતા અનુભવતા હોય છે. સમગ્ર 15 દિવસ ચાલનાર આ મેળામાં આજની આઠમનુ વિશેષ મહત્વ એટલે પણ જોવા મળે છે કે આજે માં ખોડલનો પ્રાગટય દિન છે. સૌથી વધુ શ્રધ્ધાળુઓ આજના દિવસે જ આવતા હોય છે. આજે વરાણા ધામમાં મેળાના તમામ દિવસો કરતા વિશેષ ભીડ જોવા મળતી હોય છે.