![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/ડીસાથી-પાલનપુરને-જોડતો-hed.jpg)
ડીસાથી પાલનપુરને જોડતો બ્રિજ સમારકામ માટે બંધ કરી દેવાતા ટ્રાફિક ચક્કાજામ
જલારામ મંદિરથી બનાસ બ્રિજ સુધી વાહનોની લાઈનો લાગી : વાહન ચાલકો ગરમીમાં અકળાયા
ડીસામાં ટ્રાફિકની સમસ્યાનાં નિવારણ માટે બનાવેલ એલિવેટેડ બ્રિજ પાંચ દિવસ માટે સમારકામ કરવા બંધ કરી દેવામાં આવતા સોમવારે ટ્રાફિક ચક્કાજામ સર્જાયો હતો: ડીસામાં અગાઉ ટ્રાફિક સ્મસ્યાનાં નિવારણ માટે 200 કરોડ ઉપરાંતનાં ખર્ચે રિલાયન્સ પમ્પ થઈ ભોયણ સુધી 4 કી. મી લાંબો એલેવેટીડ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવ્યો હતો. જોકે હાઇવે ઓથોરિટી દ્વારા રવિવારથી આગામી પાંચ દિવસ માટે સમારકામ માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે પણ એકા એક બ્રિજ બંધ કરી દેતા સોમવારે બનાસ નદીથી જલારામ મન્દિર સુધી બે કી. મી. સુધી ટ્રાફિક જામ થયો હતો. એક તરફ લગ્ન્સરાની સીઝન બીજી તરફ ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાનાં હોઈ લોકો મોટી સઁખ્યામાં વાહનો પાલનપુર તરફ જવા નીકળ્યા હતા તે દરમિયાન ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાઈ જતા અકળાઈ ઉઠ્યા હતા.જોકે કલાકોની જહેમત બાદ પોલીસ દ્વારા ટ્રાફિક પૂર્વવત કરાતા સ્થિતિ થાળે પડી હતી.
જોકે પાંચ દિવસ માટે આ બ્રિજ હજુ બંધ રહેશે તો દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિક નાં થાય તે માટે હાલ પૂરતો પોલીસ પોઇન્ટ પણ મુકવો જરૂરી છે.
સર્વિસ રોડ ઉપર ખાનગી વાહનોનો ખડકલો: ડીસામાં ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવતા તમામ વાહનો સર્વિસ રોડ ઉપરથી ડીસામાં પ્રવેશ કરી પાલનપુર સહિત અન્ય વિસ્તારી તરફ જતા હોય છે જોકે ગાયત્રી મન્દિર અને જલારામ મંદિરનાં બન્ને સાઈડનાં સર્વિસ રોડ ઉપર ખાનગી ઇકો ગાડી, નાસ્તાની લારીઓ, ચાની હોટલોવાળાઓએ મોટાભાગનો સર્વિસ રોડ રોકી દીધો છે જેના પરિણામેં આ સર્વિસ રોડ ઉપરથી પસાર થતા વાહનો અટવાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ સમસ્યા બ્રિજ ખુલ્લો હોય તો પણ અવાર નવાર સર્જાય છે જોકે પોલિસની રહેમ નજર તળે ખાનગી વાહન ચાલકો આ સર્વિસ રોડ ઉપર જ અડિંગો જમાવી પેસેન્જર ભરતા હોય છે અને તે દરમિયાન તેઓ અવારનવાર અન્ય ખાનગી વાહચાલકો સાથે વિવાદ પણ કરતા હોય છે.
બ્રિજ નીચે પણ ખાનગી વાહન ચાલકોની જોહુકમી: ડોક્ટર હાઉસ નજીક થતા ટ્રાફિકજામનાં નિવારણ માટે ધારાસભ્ય અને પાલિકા દ્વારા બ્રિજ નીચે લગાવેલી કોર્ડન કરેલી જાળીઓ ડોક્ટર હાઉસમાં આવતા દર્દીઓનાં વાહનો પાર્ક કરવા માટે ખુલ્લી કરી હતી પણ આ જગ્યામાં પણ ઇકો ચાલકો પોતાના વાહનો પાર્ક કરી ટ્રાફિક સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યાં છે ત્યારે પાલિકા તંત્ર અને પોલીસ દ્વારા આ પેસેન્જર વાહનોને અહીંથી દૂર કરે તો ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તેમ છે.