![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/05-22.jpg)
અંબાજીનાં રીંછડીયા તળાવમા નૌકાવિહારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ
અંબાજી શક્તિપીઠને યાત્રાધામની સાથે પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જેને લઇ સરકાર અંબાજી આસપાસના વિસ્તારોને પણ વિકસિત કરી રહી છે. જેમાં અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર આવેલા રીંછડીયા મહાદેવ મંદિરનું તેમજ તેની આસપાસના વિસ્તારનો વિકાસ કરવા સરકારે રૂ.૫૪ કરોડની માતબર રકમ ખર્ચ કરવાનું આયોજન કર્યું છે.
આ રીંછડીયા મહાદેવ મંદિર પાસે વિશાળ સિંચાઈનો ડેમ પણ આવેલો છે, ત્યારે આ ડેમમાં વર્તમાનમાં ૨૬ ફૂટ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે આ ડેમના પાણીને લઇ તળાવને બ્યુટીફિકેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ વર્તમાનમાં ચોમાસાની સીઝનમાં ઠેકઠેકાણે આકર્ષક પાણીના ઝરણાં જોવા મળતા હોય છે. ત્યારે રીંછડીયા મહાદેવનું મંદિર પણ આ વિસ્તારમાં આવેલું છે. જેનું કરોડો રૂપિયાના ખર્ચે નવસર્જન કરવા સરકારે ર્નિણય લીધો છે. ત્યારે માનવામાં આવે છે કે આ વિસ્તારમાં અનેક રીંછ રહેતા હોવાથી માનવ વસવાટ થતા આ વિસ્તારને રીંછડી ગામ તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ સિવાય અહી મહાદેવજીનું મંદિર આવેલું છે, જે અતિપ્રાચીન છે. ત્યાં પણ રીંછોનો જમાવડો રહેતો હોવાથી મહાદેવજીનું નામ પણ રીંછડીયા મહાદેવ તરીકે આપ્યુ હોવાની માન્યતા પ્રવર્તી રહી છે
આમ આ રીંછડી વિસ્તારને કાયાકલ્પ કરવા માટે સરકારે રૂ.૫૪ કરોડનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં રીંછડીયા તળાવ બ્યુટીફિકેશન ચેકડેમ, ફુવારા તેમજ ફૂડઝોન જેવી સુવિધાઓ વિકસાવીને અંબાજીમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે રીંછડીયા મહાદેવ મંદિરના મહંતે જણાવ્યું હતું કે રીંછડી ડેમમાં માઉન્ટ આબુની જેમ નૌકાવિહાર જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો માઉન્ટ આબુની જેમ આ વિસ્તારનો વિકાસ થઇ શકે તેમ છે.