ઓગડ પાસે આવેલ જીઓ પેટ્રોલ પંપની સામે અચાનક રસ્તા પર કુતરું આડે આવતા તેને બચાવવા જતાં રિક્ષા પરથી કાબૂ ગુમાવ્યો અને રિક્ષા પલટી ખાઈ ગઈ
બનાસકાંઠા જિલ્લાના થરા-રાધનપુર હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. દીકરીના લગ્નની તૈયારીઓ અને ખુશીઓથી ગુંજતા પરિવારમાં અચાનક માતમ છવાઈ ગયો છે. પાટણથી લગ્નની ખરીદી કરીને પરત ફરી રહેલા પિતાની રિક્ષાને અકસ્માત નડતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લગ્નનો હરખ શોકમાં ફેરવાઈ ગયો છે.
ઘટનાની વિગત મુજબ, થરા-રાધનપુર રોડ પર ઓગડ પાસે આવેલ જીઓ પેટ્રોલ પંપની સામે આ અકસ્માત સર્જાયો હતો. મૃતક વિરમભાઇ ઠાકોર પોતાની રિક્ષામાં પાટણથી ખરીદી કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક રસ્તા પર કુતરું આડે આવતા તેને બચાવવા જતાં રિક્ષા પરથી કાબૂ ગુમાવ્યો હતો. રિક્ષા પલટી ખાઈ જતાં વિરમભાઇને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે, મૃતક વિરમભાઇના ઘરે આગામી 8 મેના રોજ દીકરીના લગ્ન લેવાયા હતા. પિતા પોતાની લાડકવાઈ દીકરીને સાસરે વળાવવા માટે ઉત્સાહમાં હતા. અને તે જ તૈયારી માટે તેઓ પાટણ ખરીદી કરવા ગયા હતા. જે ઘરેથી થોડા દિવસોમાં દીકરીની જાન વિદાય થવાની હતી, તે જ ઘરેથી હવે પિતાની અંતિમયાત્રા નીકળશે. આ કરુણ વિધિએ કુદરતની ક્રૂરતાના દર્શન કરાવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પિતાનો મૃતદેહ જોઈને પરિવારમાં આક્રંદ મચી ગયો હતો. આસપાસના લોકોના જણાવ્યા મુજબ, વિરમભાઇ ઠાકોર ઉદરગઢા તાલુકાના રહેવાસી હતા અને ખૂબ જ મહેનતુ વ્યક્તિ હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. એક નાના અકસ્માતે હસતા-રમતા પરિવારની બધી જ ખુશીઓ છીનવી લીધી છે.
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત અંગે પંચનામું કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. થરા-રાધનપુર હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે હાઈવે પરના વાહનચાલકોમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો હતો. દીકરીના લગ્ન પહેલા જ પિતાની છત્રછાયા ગુમાવનાર આ પરિવાર માટે અત્યારે આશ્વાસન આપવું પણ મુશ્કેલ બની રહ્યું છે.





