વાવ-થરાદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અને ખાસ કરીને NCTE ના નિયમોમાં ઊભી થયેલી વિસંગતતાઓને દૂર કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. અગાઉ વહીવટી તંત્ર દ્વારા ધરણાં પ્રદર્શનની મંજૂરી ન મળતા, મહાસંઘે આવેદનપત્રનો માર્ગ અપનાવી પોતાની ન્યાયિક માંગણીઓ સરકાર સુધી પહોંચાડી છે. મહાસંઘે રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે અથવા તો ૨૯ જુલાઈ ૨૦૧૧ના જાહેરનામા મુજબ લાયકાતમાં યોગ્ય છૂટછાટ મળવી જોઈએ.
આ ઉપરાંત, NCTE ના નવા નિયમોને ભૂતકાળની અસરથી એટલે કે Retrospective Effect થી લાગુ ન કરવા અને વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન જે-તે સમયના પ્રવર્તમાન નિયમો મુજબ થયેલી શિક્ષકોની ભરતીને જ માન્ય રાખવાની ઉગ્ર માંગ કરાઈ છે. આ આવેદનપત્રમાં CPED, DPED, BPED તેમજ NTTI ધારક શિક્ષકોની લાયકાત અને સિનિયોરિટી સંબંધિત પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા પણ ભાર પૂર્વક અપીલ કરવામાં આવી છે. મહાસંઘે કેન્દ્ર સરકારના ગેઝેટ અને હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને પ્રાથમિક શિક્ષકોના હિતોનું રક્ષણ કરવા તંત્રને જણાવ્યું છે.





