ડીસા શહેરના ગાયત્રી મંદિર હાઇવે નજીક આવેલા પુષ્પમ ફ્લેટ પાસે ગુરુવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. રસ્તા પર રખડતી બે ગૌમાતાઓ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણ દરમિયાન બંને ગાયો અચાનક એક બ્રેઝા કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, એક ગૌમાતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજી ગૌમાતા ગંભીર રીતે ઘાયલ થતાં તડપતી હાલતમાં રસ્તા પર પડી રહી હતી.
ઘટનાને જોઈ સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે દુઃખ અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ઘટનાસ્થળે હાજર એક જાગૃત નાગરિકે માનવતા દાખવીને તરત જ ઘાયલ ગૌમાતાને બચાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. તેમણે તાત્કાલિક જલારામ ગૌશાળાની એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો હતો અને ઘાયલ ગૌમાતાને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.સ્થાનિકોમાં ચર્ચાનો વિષય એ બન્યો હતો કે, એક તરફ દેશમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ ઉઠે છે, ગૌસેવાના મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ જ્યારે રસ્તા પર કોઈ ગૌમાતાનું મોત થાય છે. અથવા તે ગંભીર રીતે ઘાયલ બને છે ત્યારે તેની જવાબદારી લેવા માટે કોઈ તંત્ર કે સંસ્થા આગળ આવતી નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃત ગૌમાતાને ઉપાડવા માટે કોઈ તૈયાર ન થતાં આખરે ખાનગી વાહનની વ્યવસ્થા કરવી પડી હતી. જેના માટે આશરે રૂ. 800નો ફાળો ઉઘરાવીને ખર્ચ ચૂકવવો પડ્યો હતો.આ ઘટનાએ ફરી એકવાર રખડતા ઢોરોના પ્રશ્નને લઈને નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
શહેરના મુખ્ય માર્ગો અને હાઇવે પર મોટી સંખ્યામાં રખડતા પશુઓ જોવા મળે છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. તેમ છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે અસરકારક કાર્યવાહી થતી ન હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો સમયસર રખડતા પશુઓને ગૌશાળામાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવે અને ઘાયલ કે મૃત પશુઓ માટે તાત્કાલિક રેસ્ક્યૂ સિસ્ટમ ઉભી કરવામાં આવે તો આવી કરુણ ઘટનાઓ ટાળી શકાય.ઘટનાના અંતે એક જાગૃત નાગરિકે પોતાની ફરજ સમજીને ઘાયલ ગૌમાતાને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી, જે માનવતા અને જીવદયા માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
પરંતુ આ સમગ્ર ઘટનાએ એક કડવો પ્રશ્ન પણ ઉભો કર્યો છે કે "ગૌમાતાના નામે રાજકારણ અને ભાવનાત્મક ભાષણો તો ઘણાં થાય છે, પરંતુ જ્યારે ગૌમાતા રસ્તા પર ઘાયલ થઈ તડપતી હોય કે મૃત્યુ પામતી હોય ત્યારે જવાબદારી કોણ લેવાનુસ્થાનિક નાગરિકોએ નગરપાલિકા અને સંબંધિત તંત્ર પાસે માંગ કરી છે કે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, ઘાયલ પશુઓ માટે 24 કલાક રેસ્ક્યૂ સેવા શરૂ કરવામાં આવે તેમજ મૃત પશુઓના નિકાલ માટે મફત અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ નાગરિકને ફાળો ઉઘરાવીને ગૌમાતાના અંતિમ સંસ્કાર જેવી કામગીરી કરવી ન પડે.





