કેનાલ જીવાદોરી છે, પરંતુ સુરક્ષા વિના જીવલેણ; તાર ફેન્સિંગ માટે વર્ષોથી રજૂઆતો છતાં તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ
વાવ-થરાદ જિલ્લાના સૂકા પ્રદેશ માટે નર્મદા કેનાલ માત્ર પાણીનો સ્ત્રોત નહીં, પરંતુ જીવાદોરી સમાન બની છે. નર્મદાના નીરથી ખેતીને નવી દિશા મળી છે, અનેક ખેતરોમાં હરિયાળી આવી છે અને પાણીની તંગીનો સામનો કરતા પંથકને મોટી રાહત મળી છે. પરંતુ બીજી તરફ કેનાલની આસપાસ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આ જ જીવાદોરી હવે અનેક પરિવારો માટે મૃત્યુનું કારણ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં કેનાલમાં ડૂબી જવાની અલગ-અલગ બે ઘટનામાં ચાર લોકોના અકાળે મોત થતાં સમગ્ર સરહદી પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.67.jpg231.07 KBજમડા પુલ નજીક રવિવારે સાંજે બનેલી કરુણ ઘટનાએ કેનાલની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે. એક જમાઈ પારિવારિક કારણોસર કેનાલમાં પડ્યા બાદ તેને બચાવવા તેના બે સાળા અને સસરાએ પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. ચારેય પાણીમાં ડૂબવા લાગતાં આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ જમાઈ તથા એક સાળાને બચાવી લેવાયા હતા. જ્યારે અન્ય એક સાળો અને સસરા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા લાંબા સમયથી કેનાલ ફરતે સુરક્ષાની માંગ કરવામાં આવી રહી છે. ચૂંટણી સમયે રાજકીય આગેવાનો દ્વારા પણ કેનાલની સુરક્ષા માટે ફેન્સિંગ કરાવવાના વચનો આપવામાં આવ્યા હતા. જોકે, ચૂંટણી પૂર્ણ થયા બાદ આ વચનો અમલમાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.