કોમી એકતા સાથે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી
હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે હજારો મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાયા હતા. આ ઉજવણી દરમિયાન કોમી એકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. સમી, સિદ્ધપુર, રાધનપુર,વારાહી, સિધાડા,સાંતલપુર,વડાવલી, ટાકોદી અને કાકોશી સહિતના વિસ્તારોમાં પણ ઉત્સાહભેર ઉજવણી થઈ હતી.વહેલી સવારે મસ્જિદોમાં મિલાદ શરીફ અને સલાતો-સલામ પઢવામાં આવ્યા હતા.ત્યારબાદ બાલ મુબારક અને કદમ મુબારકના દર્શન યોજાયા હતા. સમગ્ર વિશ્વને સદભાવના, એકતા, શાંતિ અને સ્ત્રી સન્માનનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફાસાહેબ (સ.અ.વ.)ના જન્મદિન નિમિત્તે આયોજન કરાયું હતું.
લોકોએ આ પ્રતિકૃતિઓના દર્શન કર્યા હતા.જુલૂસમાં સામેલ લોકો હાથમાં ઝંડાઓ સાથે જોડાયા હતા, જ્યારે ઊંટલારીઓમાં સવાર નાના બાળકો પણ હાથમાં ઝંડા ફરકાવતા જોવા મળ્યા હતા. જુલૂસના માર્ગ પર ઠેર ઠેર ન્યાઝ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓએ ગુંબદે ખિજરા ઉપર પુષ્પવર્ષા કરી હતી.શહેરના મોટા ટાંકવાડા પાસે હિન્દુ-મુસ્લિમ રાજકીય અને સામાજિક આગેવાનોએ જુલૂસનું સ્વાગત કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે દાઉદ કાઝી અને ભૂરા ભાઈ સૈયદે ઇદે મિલાદુન્નબીના જુલૂસનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે મૌલાના જલાલુદ્દીન હસ્મતીએ દુઆ કરાવી હતી.





