થરાદ સેશન્સ કોર્ટે એક હૃદયદ્રાવક હત્યા કેસમાં કડક ચુકાદો આપતાં આરોપી અશ્વિન પરમારને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સાથે રૂ. 50,000નો દંડ ફટકાર્યો છે. વર્ષ 2022 માં સુઈગામ તાલુકાના જેલાણા ગામમાં બનેલી આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી.
આ જઘન્ય હત્યા પાછળ જૂની દુશ્મનાવટ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું હતું. આરોપી અશ્વિન પરમારે અગાઉ મૃતક સોનલ ભાટિયાની મોટી બહેન શાંતિ સાથે ઝઘડો કરી મારામારી કરી હતી, જેને લઈને પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ જ બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ બદલો લેવા માટે નિર્દોષ સોનલને નિશાન બનાવી તેની હત્યા કરી હતી. વ્યક્તિગત અદાવતના કારણે એક નિર્દોષ યુવતીએ જીવ ગુમાવવો પડ્યો હતો.
ઘટના બાદ સોનલના ભાઈએ સુઈગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન મજબૂત પુરાવાઓ એકત્ર કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તમામ દલીલો અને પુરાવાઓના આધારે થરાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે. આ સાથે આજીવન કેદ અને દંડની સજા સંભળાવતા કોર્ટએ કડક સંદેશ આપ્યો છે.આ ચુકાદાથી પીડિત પરિવારને લાંબા સમય બાદ ન્યાય મળ્યો છે અને સમાજમાં પણ કાયદાનો ડર મજબૂત બન્યો છે.





