વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકોને TET ફરજિયાત ન બનાવવાની માંગ:કાયદામાં સુધારા માટે સરકારને રજૂઆત
સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ પ્રાથમિક શિક્ષકો માટે TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) ફરજિયાત બનાવવાના મુદ્દે દેશભરમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આહ્વાન પર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પણ મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થઈ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. ધરણા બાદ શિક્ષકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને સરકારને સંબોધિત આવેદનપત્ર રજૂ કર્યું હતું.
આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્ય કરતા અને નિવૃત્તિની નજીક પહોંચેલા શિક્ષકોને ફરીથી TET પરીક્ષા આપવાની ફરજ પાડવી યોગ્ય નથી. તેમણે જણાવ્યું હતું કે લાંબા સમયથી સેવા આપતા શિક્ષકોના અનુભવ અને કાર્યક્ષમતાને પણ યોગ્ય મહત્વ મળવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહાસંઘ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરે છે, પરંતુ વર્ષ-2009ના શિક્ષણના અધિકાર કાયદા તથા અનુસંગિક નિયમોમાં શિક્ષકોને નોકરીમાંથી મુક્ત કરવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. તેમ છતાં હાલની પરિસ્થિતિમાં અનેક શિક્ષકોમાં અનિશ્ચિતતા અને ભયનો માહોલ સર્જાયો છે. મહાસંઘ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને શિક્ષકોના હિતમાં કાયદાકીય સુધારા કરવા, માનવીય અભિગમ અપનાવવા તેમજ લાંબા સમયથી ફરજ બજાવતા શિક્ષકોને કોઈપણ પ્રકારનો અન્યાય ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.
જિલ્લા પ્રમુખ અભેરાજ પટેલે જણાવ્યું હતું કે પાલનપુર ખાતે યોજાયેલા આ ધરણામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. ધરણા બાદ કલેક્ટરને રજૂઆત કરીને શિક્ષકોએ પોતાની માંગણીઓ અંગે સરકાર ઝડપથી હકારાત્મક નિર્ણય લે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. TET મુદ્દે દેશવ્યાપી સ્તરે શરૂ થયેલા આ વિરોધ વચ્ચે હવે સરકાર શિક્ષકોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.





