મહેસાણા શહેરના મોઢેરા રોડ પર લાંબા સમયથી પડતર અને માથાના દુખાવા સમાન બનેલી સમસ્યાઓ તરફ મહાનગરપાલિકાનું ધ્યાન દોરવા માટે આગામી તારીખ ૧૫ જુલાઈથી ૨૩ જુલાઈ સુધી પ્રતીક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોની વેદનાને વાચા આપવા માટે મહેસાણાના જાણીતા સામાજિક કાર્યકર, 'હાર્ટ એટેક' પુસ્તકના લેખક ધર્મેન્દ્ર સતિષચંદ્ર પંડ્યા દ્વારા આ પ્રતીક ઉપવાસની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તેઓ નિયત દિવસો દરમિયાન બપોરે ૧૨ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ઉપવાસ પર બેસીને સત્તાધીશોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરશે.
આ મામલે ધર્મેન્દ્ર પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ પણ તેમણે મોઢેરા રોડની આ ગંભીર સમસ્યાઓ હલ કરવા અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી. પરંતુ, દુઃખની વાત એ છે કે રજૂઆતના ૨ વર્ષ વીતી ગયા બાદ પણ તંત્ર દ્વારા આ અંગે કોઈ જ નક્કર કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. વહીવટી તંત્રની આ નિષ્ક્રિયતા અને ઉદાસીનતાના કારણે જનતા પરેશાન છે, જેથી અંતે ન છૂટકે તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જાણ કરી પ્રતીક ઉપવાસ પર બેસવાનો આકરો નિર્ણય લીધો છે.
ધર્મેન્દ્ર પંડ્યાના આ લોકહિતના આંદોલનને શહેરના અન્ય સામાજિક આગેવાનોનો પણ મજબૂત સાથ મળી રહ્યો છે. શહેરના જાણીતા આંદોલનકારી સતીશભાઈ પટેલ, સુરેશભાઈ ઠાકોર તેમજ અન્ય જાગૃત નાગરિકોએ આ પ્રતીક ઉપવાસને પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. સ્થાનિક લોકોનો આક્રોશ અને આગેવાનોના વધતા સમર્થનને જોતા હવે એ જોવું રસપ્રદ રહેશે કે મહેસાણા મહાનગરપાલિકાના સત્તાધીશો આ આંદોલન સામે શું વલણ અપનાવે છે અને લોકોની આ સમસ્યાનો ક્યારે અંત લાવે છે.





