અમદાવાદમાં આજે આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું છે. દેશની સૌથી મોટી અને ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા આજે પરંપરાગત ઉત્સાહ સાથે નીકળી છે. વહેલી સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પરંપરાગત 'પહિંદ' વિધિ કરવામાં આવી હતી, જેની સાથે જ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. 'નંદીઘોષ', 'દર્પદલન' અને 'તાલધ્વજ' રથમાં બિરાજીને ભગવાન ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. હાલ રથયાત્રા સરસપુર પહોંચી છે. રથયાત્રા નિર્ધારિત સમય કરતાં થોડી મોડી હોવા છતાં ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી. જોકે, રૂટ પર આવેલા જોખમી મકાનો પર ભક્તોની ઉપસ્થિતિ ચિંતાનો વિષય બની છે, જ્યાં તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તેમ છતાં, 'જય જગન્નાથ'ના નાદથી સમગ્ર અમદાવાદ ગુંજી ઉઠ્યું છે.




