મકાનોના પતરા ઉડ્યા, અનેક વૃક્ષો ધરાશાયી થયા પશુઓ પણ મોતના મુખમાં હોમાયા
હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા અને વાવ થરાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ
બનાસકાંઠા અને સરહદી વાવ-થરાદ વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારની મધરાતે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. વાતાવરણમાં અચાનક આવેલા પલટા સાથે ત્રાટકેલા ભારે વાવાઝોડા અને ગાજવીજ સાથેના વરસાદે સમગ્ર પંથકમાં જાનમાલને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.મધરાતે ફૂંકાયેલા પ્રચંડ પવનને કારણે ડીસા તાલુકાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ભારે નુકસાનના અહેવાલો છે. રાણપુર રોડ પર આવેલા ગજાનંદ કોલ્ડ સ્ટોરેજના પતરા હવામાં ઉડી ગયા હતા. જ્યારે જેનાલ ગામમાં પ્રખ્યાત મહાકાળી માતાજીના મંદિર શેડ પર વૃક્ષ પડતા ધરાશાયી થયો હતો. આ ઉપરાંત, પેછડાલ ગામમાં અનેક રહેણાંક મકાનોના પતરા ઉડી જતાં ગરીબ પરિવારો ઘરવિહોણા બન્યા હતા.
આ વાવાઝોડું વરણ ગામના એક પરિવાર માટે આફત બનીને ત્રાટક્યું હતું, જ્યાં ઘરની દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ, છત્રાલા ગામે લીમડાના ઝાડ નીચે બાંધેલી ભેંસ વાવાઝોડામાં લીમડો પડતા ભેંસનું પણ મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, મધરાતે વાવાઝોડા સાથે થયેલા વરસાદમાં વાવ થરાદ જીલ્લામાં લાખણીમાં ૨૪ મીમી, દિયોદર અને થરાદમાં ૨૨ મીમી ભાભરમાં ૧૩ મીમી,વાવમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજમાં ૧૩ મીમી, ધાનેરામાં ૧૧ મીમી સહિત અન્ય તાલુકાઓ પણ વરસાદ થયો હતો ત્યારે મધરાતે અચાનક ત્રાટકેલી આ આફતના પગલે સમગ્ર બનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં હાહાકાર મચી ગયો છે અને તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.





