બનાસકાંઠા જિલ્લામાં ગત મધરાત્રિએ અચાનક ત્રાટકેલા ભારે વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. આ કુદરતી આફતમાં ડીસા તાલુકાના વરણ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વાવાઝોડાના કારણે દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, વરણ ગામના પરબતભાઇ દાનાભાઈ રબારીનો પરિવાર રાત્રિના સમયે પોતાના ઘરમાં સૂતો હતો. તે દરમિયાન જોરદાર પવન ફૂંકાવાને કારણે ઘરની દીવાલ અચાનક પત્તાની જેમ તૂટી પડી હતી. આ અકસ્માતમાં કાટમાળ નીચે દબાવાને કારણે પરબતભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
જ્યારે આ દુર્ઘટનામાં તેમના નાના ભાઈ અને ભત્રીજી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વરણ ગામના ચરમટા (રબારી) પરબતભાઈ દાનાભાઈનું માતુશ્રી જેબરબેનના બેસણાની વિધિ હજુ પૂર્ણ થાય ત્યાં જ પુત્રના નિધનથી પરિવારમાં આભ તૂટી પડ્યું છે. સમગ્ર વરણ પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.





