ચકકાજામના કારણે પદ્મનાથ ચોકડીની બન્ને તરફ 1 કિમી થી વધુની લાંબી વાહનોની કતારો લાગી
સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ધારાસભ્ય ડો. કિરિટ પટેલની ચેતવણી
પાટણના મિરાં દરવાજા, સાંઈબાબા નગર અને પદ્મનાથ ચોકડી વિસ્તારમાં છેલ્લા 8 થી 9 મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ અને કોંગ્રેસના કાર્યકરો સાથે મળી પદ્મનાથ ચોકડી પરના નેશનલ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. નગરપાલિકા તંત્ર સામે રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આક્રોશે ભરાયેલા લોકોએ હવે માર્ગો પર ઉતરીને અનિશ્ચિત મુદતના આંદોલનની ઉગ્ર ચેતવણી આપી છે.શહેરના મિરાં દરવાજા, સાંઈબાબા નગર, પદ્મનાથ સોસાયટી, અખંડ આનંદ સોસાયટી અને રેડ ક્રોસ ભવનથી લઈને પદ્મનાથ ચાર રસ્તા સુધીના તમામ વિસ્તારો ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણીથી જળબંબાકાર થઈ ગયા છે.
આ સમગ્ર પોશ વિસ્તારમાં ફેલાયેલી ભયાનક દુર્ગંધ અને ગંદકીના કારણે ડેંગ્યુ તેમજ મેલેરિયા જેવા ઘાતક રોગચાળાનો ભય ઊભો થયો છે. અહીંની પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે સોસાયટીઓમાં રહેતા કેટલાક સ્થાનિક રહીશો પોતાના મકાનોને તાળાં મારીને ગામડે રહેવા જવા માટે મજબૂર બન્યા છે.સ્થાનિક રહીશોએ ત્રણ દિવસ પહેલા જ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટની આગેવાની હેઠળ નગરપાલિકા પ્રમુખને રૂબરૂ મળીને ગટર લાઈનની કાયમી ધોરણે સફાઈ કરવા અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી 48 કલાકનો અલ્ટીમેટમ આપવામાં આવ્યો હતો. પરંતુ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ અપાયેલા આવેદનપત્ર સાથે ની રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા સ્થળ પર કોઈ કામગીરી શરૂ કરવામાં ન આવતાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ગુરૂવારે આક્રોશિત રહીશો
એ પાટણના ધારાસભ્ય, કોર્પોરેટરો અને રાજકીય કાર્યકરોએ પદ્મનાભ ચોકડી પર એકઠા થઈને નેશનલ હાઈવેનો આ રસ્તો સંપૂર્ણપણે રોકી દેતાં બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.ચક્કાજામ દરમિયાન પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે સ્થાનિક વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કરતા પાટણ નગરપાલિકાને 'ગટરપાલિકા' ગણાવી હતી. તેમણે જણાવ્યું કે જે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સ્કૂલ, રેડક્રોસ સંસ્થા અને અનેક સારી સોસાયટીઓ આવેલી છે ત્યાં પણ છેલ્લા 6 થી 9 મહિનાથી ગટરની વિકટ સમસ્યા છે. અગાઉ સંકલન સમિતિ અને આરસીએમ (RCM) ની બેઠકમાં 2 વાર રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા માત્ર 10 થી 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવાના પોકળ આશ્વાસનો જ આપવામાં આવ્યા છે.
ધારાસભ્ય અને રહીશોએ ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે જ્યારે કોર્પોરેટરો અને રહીશો આ સમસ્યા અંગે રજૂઆત કરવા પાલિકા કચેરીએ ગયા ત્યારે ચીફ ઓફિસરે તેમની સાથે અત્યંત ઉદ્ધત વર્તન કર્યું હતું અને રહીશોના મોબાઈલ પણ તોડી નાખ્યા હતા. ભાજપના જ ચૂંટાયેલા કોર્પોરેટરો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ચીફ ઓફિસર તેમજ પ્રમુખને પ્રજાની સુખાકારીના કામો કરવામાં કોઈ રસ નથી પરંતુ માત્ર ટેન્ડરો પ્રક્રિયા મારફતે ભ્રષ્ટાચાર આચરવામાં જ રસ ધરાવે છે.
ગટરની આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ટેન્કર દ્વારા ગટરનું ગંદુ પાણી ભરીને નગરપાલિકા કચેરી ખાતે લાવવામાં આવશે અને ત્યાં તેનો અભિષેક કરીને વિરોધ પ્રદર્શિત કરાશે. સાઈબાબા નગરના રહીશએ જણાવ્યું કે છેલ્લા 8 થી 9 મહિનાથી સમસ્યા હોવા છતાં કલેક્ટર કે ચીફ ઓફિસર કોઈ સાંભળતું નથી. જો આજે પણ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આવતીકાલથી તમામ રહીશો પોતાના ઘર બાર છોડીને રસ્તા પર અનિશ્ચિત મુદત માટે ધામા નાખશે અને ગટર સંપૂર્ણ સાફ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખી આ દુષિત પાણીનું ટેન્કર ભરીને તેના દ્ધારા પાલિકાના સતાધીશોનો અભિષેક કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.





