ધોકા-ગડદાપાટુથી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામમાં કાવડયાત્રીઓ પર ચાર લોકોએ હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ થયેલી મારામારી અને ધમકીના કેસમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કાવડયાત્રીઓ ગામના ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે વિપુલ ઠાકોર અને પ્રતિક ઠાકોરે તેમને 'ક્યાં જવા નીકળ્યા છો' તેમ કહી તકરાર શરૂ કરી. બોલાચાલી વધતા આરોપીઓએ ફરિયાદી રાજદિપ રાજપૂત સાથે ગાળાગાળી કરી. તેમણે રાજદીપને ધોકા અને ગડદાપાટુથી માર માર્યો. હુમલા બાદ સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત રાજદીપને ગાડીમાં બેસાડીને લઈ જઈ રહ્યા હતા. તે સમયે બે કાળા રંગની કારમાં આવેલા વિક્રમ ઠાકોર અને અનીલ ઠાકોરે રસ્તામાં તેમની ગાડી રોકી.આ શખ્સોએ ગાળો બોલી ધમકી આપી અને ત્યાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.





