ચોકલેટની લાલચ આપી શ્રમિક બાળકનું કરાયુ અપહરણ
આરોપીને ઝડપી લઈ બાળકને સુરક્ષિત છોડાવતી પોલીસ
સરહદી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી એક બાળકના અપહરણની ચકચારી ઘટના સામે આવી હતી. શ્રમિક પરિવારના બાળકને અજાણ્યા ઈસમએ ચોકલેટની લાલચ આપી ગાડીમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ બાળકને તેના ચુંગાલમાંથી છોડાવી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુરના ધનપુરા પાટીયા પાસે ચોકલેટની લાલચે એક શ્રમિક બાળકનું અપહરણ થતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું. LCB અને SOGની ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન, પોલીસે દાંતાના નારગઢ નજીકથી આરોપી ગાડી ચાલકને ઝડપી પાડ્યો હતો. સાથે જ અપહરણ કરાયેલા બાળકને સુરક્ષિત રીતે છોડાવવામાં પોલીસને સફળતા મળી છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસનો ધમધમાટ
પાલનપુરના ધનપુરા પાટીયા પાસે બાળકને ચોકલેટની લાલચ આપીને અપહરણ કરવાની ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીનું પગેરું મેળવી ઝડપી લીધો હતો. આ અપહરણની ઘટનામાં આરોપીની ગાડી સીસીટીવીમાં કેદ થઈ ગયા હોવાના વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે પોલીસે આ બાળતસ્કરી છે કે કેમ? તે દિશામાં પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.





