રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દેશભરમાં ચાલી રહેલા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે ડીસા નગરમાં એક વિશેષ 'પ્રમુખ જન ગોષ્ઠિ' (વિચાર ગોષ્ઠિ) નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ હનુમાન મંદિર રોડ પર આવેલા શ્રી રાયચંદ સ્વરૂપચંદ આચાર્ય આદર્શ વિદ્યા સંકુલ (અંગ્રેજી માધ્યમ) ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના વિવિધ ક્ષેત્રોના પ્રબુદ્ધ નાગરિકો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્ર કાર્યની અવિરત સાધનાએ આ વર્ષે પોતાના ૧૦૦ વર્ષ (શતાબ્દી વર્ષ) પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક અવસરે વર્તમાન વૈશ્વિક અને રાષ્ટ્રીય સંક્રાંતિના નિર્ણાયક સમયમાં સમાજની 'સજ્જન શક્તિ' સક્રિય બને તેવા આશય સાથે આ ગોષ્ઠિ યોજાઈ હતી.કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર સામેના વર્તમાન પડકારો અને સમાજ જીવનની વિવિધ સમસ્યાઓના સ્થાયી નિરાકરણ માટે પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા અત્યંત મહત્વની છે. સમાજનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ કરવા માટે પ્રત્યેક વ્યક્તિએ પોતાની સામાજિક જવાબદારી સમજવી પડશે. ડીસા નગરના વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર એવા ડૉક્ટર્સ, વકીલો, વેપારીઓ, શિક્ષણવિદો અને સામાજિક કાર્યકરો અને અન્ય અગ્રણીઓ એ આ ચિંતન બેઠકમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હકારાત્મક અને રાષ્ટ્રભાવનાથી સભર વાતાવરણમાં સંપન્ન થયો હતો, જેમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.





