પોલિયો નાબૂદી અભિયાનના પ્રથમ દિવસે જ ભારે ઉત્સાહ: ૧.૪૮ લાખથી વધુ બાળકોને સુરક્ષાના બે ટીપાં પીવડાવાયા
સાબરકાંઠા જિલ્લામાં તા. ૨૮/૦૬/૨૦૨૬ થી તા. ૩૦/૦૬/૨૦૨૬ દરમિયાન બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત વિશાળ પોલિયો રસીકરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાનનો જિલ્લાકક્ષાએ શુભારંભ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.આ મહા-અભિયાન હેઠળ જિલ્લાના ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે ૧.૭૦ લાખથી વધુ ભૂલકાઓને બાળ લકવા વિરોધી રસીના ટીપાં પીવડાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
અભિયાનના પ્રથમ દિવસે જ સમગ્ર જિલ્લામાં જનપ્રતિસાદ ખૂબ જ ઉત્સાહજનક રહ્યો છે. બૂથ આધારિત રસીકરણની સઘન કામગીરી દરમિયાન પ્રથમ દિવસે જ અંદાજે 86.59%જેટલી નોંધપાત્ર કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જેના અંતર્ગત કુલ 1,48,000 બાળકોને પોલિયો રસીના ટીપાં પીવડાવી સુરક્ષિત કરવામાં આવ્યા છે.જિલ્લા કક્ષાએ કલેક્ટરના કુશળ માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ સ્થાનિક પદાધિકારીઓ, સરપંચઓ તથા નગરપાલિકાના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં રસીકરણ કાર્યક્રમની સુંદર શરૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હવે પછીના દિવસોમાં એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે 'હાઉસ ટુ હાઉસ' (ઘેર-ઘેર) જઈને સઘન કામગીરી હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ માતા-પિતા અને વાલીઓને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના ટીપાં અવશ્ય પીવડાવે અને બાળ લકવા જેવી ગંભીર બીમારી સામે કવચ પૂરું પાડે.





