બેઠકમાં 173 એજન્ડા પરના કામો અંગે સવૉનુમતે નિર્ણય કરાયો
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 173 એજન્ડા આઇટમો પર ચર્ચા કરીને કૉલેજોના જોડાણ,NEPના 4 વર્ષના અભ્યાસક્રમો અને શૈક્ષણિક પ્રશ્નો અંગે મહત્વના નિર્ણયો લેવાયા હતા.
આ બેઠકમાં 50 થી વધુ સભ્યોએ ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી હાજરી આપી હતી. કૉલેજોના લોકલ ઇન્ક્વાયરી કમિટી (LIC)ના રિપોર્ટના આધારે જોડાણ ચાલુ રાખવા કે ન રાખવા અંગે નિર્ણય લેવાયા હતા. હકારાત્મક રિપોર્ટ ધરાવતી કૉલેજોને મંજૂરી અપાઈ હતી, જ્યારે નકારાત્મક રિપોર્ટવાળી કૉલેજોના જોડાણ નામંજૂર કરાયા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ ચાલુ વર્ષથી 4 વર્ષના ગ્રેજ્યુએશન વિથ ઓનર્સ અને ગ્રેજ્યુએશન વિથ રિસર્ચ જેવા અભ્યાસક્રમોને વિવિધ કૉલેજોમાં મંજૂરી આપીને પ્રવેશ ફાળવણી પૂર્ણ કરવામાં આવી છે.
કૉલેજોમાં આચાર્ય કે યોગ્ય શિક્ષકોની અછત હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીઓના પ્રવેશ અને શિક્ષણને અસર ન થાય તે માટે નિર્ણય લેવાયો હતો. કૉલેજના સિનિયર મોસ્ટ અને નિયમિત નિમણૂક પામેલ વ્યક્તિને ઇંન્ચાર્જ આચાર્ય તરીકે માન્યતા આપવા તથા અસ્થાયી શિક્ષકોની નિમણૂક કરીને કૉલેજો ચાલુ રાખવાની છૂટ અપાઈ હતી. સરકાર કક્ષાએથી નિર્ણય બાકી હોય અથવા પૂર્તતા ન કરી હોય તેવી 15 કૉલેજોને ટૂંક સમયમાં પત્ર મોકલી કૉલેજ ચાલુ રાખવા કે બંધ કરવા અંગેની સ્પષ્ટતા માંગવામાં આવશે. હાલ યુનિવર્સિટી કક્ષાએ માત્ર 16 થી 48 જેટલી કૉલેજોના પ્રશ્નો પેન્ડિંગ છે, જ્યારે બાકીની તમામ કૉલેજોના પ્રશ્નોનો નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું મિટિંગમા જણાવાયું હતું.





