કાળઝાળ ઉકળાટ વચ્ચે મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાના સંકેત
બનાસકાંઠા જિલ્લા વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે હવે હવામાનમાં આંશિક બદલાવ જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ અને વેધર નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી 48 કલાક બાદ જિલ્લામાં મહત્તમ તાપમાનમાં અંદાજે 2 થી 4 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઘટાડો થઈ શકે છે.
છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠામાં તાપમાન સતત ઊંચું નોંધાઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બનતા હતા તેમજ ગરમીના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.હવે તાપમાનમાં થનારા આંશિક ઘટાડાને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હજી પણ લોકોને બપોર દરમિયાન સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
ડીસામાં ગરમીનો પારો 42.2 ડિગ્રી નોંધાયો
ડીસામાં બુધવારના રોજ મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેમાં ગત દિવસની સરખામણીએ 0.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29.1 ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા અને 22 ટકા વચ્ચે નોંધાયું હતું. શહેરમાં પવનની ઝડપ આશરે 8 કિમી પ્રતિ કલાક રહી હતી. ગરમીના કારણે બપોર દરમિયાન રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી.





