કાંકરેજ તાલુકાના શિહોરી આંબલીવાસ ગામમાં આવેલી પાણીની ટાંકી હાલ જોખમી સ્થિતિમાં પહોંચી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ગામની મધ્યમાં આવેલી અંદાજે 20થી 25 ફૂટ ઊંચી પાણીની ટાંકીના બે પાયા જર્જરીત થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ટાંકીના પાયામાંથી સિમેન્ટનો પોપડો ઊખડી રહ્યો છે અને લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. પાયામાં પડેલી તિરાડો પણ સ્પષ્ટ દેખાઈ રહી હોવાથી ટાંકીની મજબૂતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ટાંકીના પાયા જર્જરીત બનતાં કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટાંકીની આસપાસ સ્થાનિકોની સતત અવરજવર રહે છે તેમજ પશુઓ પણ મોટી સંખ્યામાં આવતા હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.આથી ગામલોકોએ સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળ પર તકનિકી તપાસ કરી જરૂરી સમારકામ હાથ ધરવા અથવા જોખમી ટાંકીના સ્થાને નવી ટાંકીનું નિર્માણ કરવાની માંગ કરી છે."વધારે નુકસાન થાય તે પહેલાં તંત્ર તાત્કાલિક પગલાં ભરે અને ગામલોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે" તેવી સ્થાનિકોની એક જ માંગ છે.





