દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલથી 3600 એકર વિસ્તારમાં ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચશે; ફુવારા અને ટપક પદ્ધતિને વેગ મળશે
વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના અથાક પ્રયાસો થકી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીમાં પાણીનો કરકસરભર્યો ઉપયોગ થાય અને ખેડૂતોની આવક બમણી થાય તેવા ઉમદા આશય સાથે રૂ. 67 કરોડના ખર્ચવાળા પ્રેસરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ (PINS) પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.માઇક્રો ઇરિગેશન (PINS) માટેનો આ ગુજરાતનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ બનશે.
દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ આધારિત આ યોજનાથી આશરે 3600 એકર વિસ્તારને સીધો સિંચાઈનો લાભ મળશે.આ પ્રોજેક્ટ અંતર્ગત સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવશે, જેનાથી ખેડૂતો સરળતાથી ફુવારા અને ટપક પદ્ધતિ અપનાવી શકશે.આ પ્રોજેક્ટ મંજૂર થવાથી ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંપરાગત સિંચાઈ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો હતો, જેની સામે હવે આધુનિક 'પિન્સ' (PINS) ટેકનોલોજીથી ઓછા પાણીએ વધુ પાક લઈ શકાશે. આનાથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે અને મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ બનાસકાંઠાના ખેડૂતો વતી મુખ્યમંત્રી તથા સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.





