ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી સિલ : ભેળસેળીયા તત્વોને બક્ષવામાં નહીં આવે : આરોગ્ય મંત્રી
ગુજરાત સરકારે નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે લાલ આંખ કરી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર ફૂડ વિભાગની ટીમે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે દરોડા પાડીને વરિયાળીમાં પ્રતિબંધિત કલર મિક્સ કરવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
ગાંધીનગર ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે ઊંઝામાં આવેલી 'મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી' પર રાતના સમયે અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ફેક્ટરીમાં વરિયાળીને વધુ આકર્ષક અને લીલી બતાવવા માટે પ્રતિબંધિત કેમિકલ કલર ભેળવવાનું ષડયંત્ર રંગેહાથ પકડાયું હતું. તંત્ર દ્વારા સ્થળ પરથી કાયદેસરની કાર્યવાહી કરીને ભેળસેળયુક્ત વરિયાળીનો લૂઝ જથ્થો આશરે 3,548 કિલોગ્રામ (કિંમત અંદાજે રૂ. 3.30 લાખ રૂપિયા) જપ્ત કર્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે, આ ફેક્ટરીના સંચાલકો ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી એવું સક્ષમ સત્તાધિકારીનું કોઈ પણ પ્રકારનું ફૂડ લાઈસન્સ ધરાવતા ન હતા. આમ, તેઓ લાઈસન્સ વગર જ ગેરકાયદેસર રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા. અધિકારીઓએ ઘટનાસ્થળેથી વરિયાળી અને કેમિકલ કલરના સેમ્પલ લઈને તેને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે, લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરીના માલિકો સામે કાયદાની કડક કલમો હેઠળ કાનૂની પગલાં લેવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આગામી સમયમાં પણ ભેળસેળિયા તત્વો સામે આવી જ કડક અને શિક્ષાત્મક કાર્યવાહી ચાલુ રહેશે.





