બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા ગામે હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે. ગત રાત્રે વાવાઝોડા અને વીજળીના માહોલ વચ્ચે 11 કે.વી. વીજ લાઇનનો વાયર તૂટી રસ્તા પર પડી જતાં એક્ટિવા પર પસાર થઈ રહેલા પિતા-પુત્ર વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં સકલાણા ગામના રહેવાસી પ્રજાપતિ કાનજીભાઈ ભેમાભાઈ (ઉ.વ. આશરે 65) અને તેમના પુત્ર પ્રજાપતિ જયેશભાઈ કાનજીભાઈ (ઉ.વ. આશરે 32) નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
એક જ પરિવારના બે સભ્યોના અચાનક અને દુઃખદ અવસાનથી સમગ્ર સકલાણા ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે. પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં શોક અને ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતકોના પરિવારજનો ના આક્રંદથી વાતાવરણ ભારે બની ગયું છે. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. ગ્રામજનોમાં વીજ વિભાગની કામગીરી સામે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. જો વીજ લાઇનોનું સમયસર નિરીક્ષણ અને જાળવણી કરવા માં આવી હોત તો કદાચ બે નિર્દોષ જિંદગીઓ બચી શકી હોત તેવી ચર્ચાઓ ગામમાં ચાલી રહી છે. એક પિતાએ પોતાના પુત્ર સાથે અને એક પુત્રએ પોતાના પિતા સાથે અંતિમ શ્વાસ લીધા હોવાની આ ઘટના સમગ્ર પંથક માટે આઘાતજનક બની છે. આજે પિતા પુત્રની અંતિમ વિધિ ટાણે ગામ આખું હિબકે ચડ્યું હતું.
મામલતદારે સ્થળ નિરીક્ષણ કર્યું
જોકે આ ઘટનાને લઈને તાત્કાલિક ગુજરાત વિદ્યુત બોર્ડ વડગામ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારે વહેલી સવારે વડગામ મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વડગામ મામલતદાર સંકેત શાહએ ugvcl ની ટીમ સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ઘટનાને લઈને મામલતદારે કહ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે વીજળી વીજ થાંભલા ઉપર પડી હોય અને ત્યારબાદ વાયર તૂટવાથી બંને વ્યક્તિઓના ઉપર વીજ વાયર પડવાથી મોત થયાનું જણાય આવે છે. જો કે, સમગ્ર મામલાની વધુ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.
Ugvcl ની બેદરકારી સામે રોષ
સકલાણા ગામમાં પિતા પુત્રના મોતને પગલે યુજીવીસીએલની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. ગત વર્ષે પણ વડગામ તાલુકાના નાવીસણા ગામે કરંટ લાગવાથી બે લોકોના મોત થયા હતા. ત્યારે વડગામ ugvcl ની બેદરકારી છે કે અકસ્માતે ઘટના બની છે. તે મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે.





